Gujarat

જામનગર શહેર અને જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યા પછી માવઠું થતાં નાગરિકો પરેશાન

By GS Team
28 Dec 20212 mins read
This article was originally published on 28 Dec 2021
જામનગર શહેર અને જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યા પછી માવઠું થતાં નાગરિકો પરેશાન

વહેલી સવારે છુટાછવાયા વરસાદી ઝાપટાં ને લઇને જનજીવન પર વ્યાપક અસર: ખેડૂતોની જણસ પલળી જતાં ચિંતાતુર બન્યા

જામનગર, તા. 28 ડિસેમ્બર 2021 મંગળવાર

સમગ્ર ગુજરાતની સાથે સાથે જામનગર જીલ્લાનું પણ હવામાન પલટાયું છે અને ગઈકાલે મોડી સાંજથી એકાએક ઠંડો પવન ફૂંકાવા નો શરૂ થઈ ગયો હતો, ત્યાર પછી ધીમી ધારે વરસાદ ચાલુ થઈ જતાં લોકોએ ઘરમાં પુરાઈ રહેવું પડયું હતું. આજે વહેલી સવારથી પણ ધીમીધારે વરસાદ ચાલુ રહેવાના કારણે ટાઢોડુ છવાયું છે, અને લોકોએ ગરમ વસ્ત્રો ને બદલે છત્રી રેઇનકોટ ના સહારે બહાર નીકળવું પડ્યું છે. બર્ફીલા ઠંડા પવન અને કમોસમી વરસાદી ઝાપટાને લઈને પશુ-પક્ષીઓ ઠુંઠવાયા હતા. સાથો સાથ કમોસમી વરસાદમાં ખેડૂતોની કેટલીક તૈયાર જણસ પલળી ગઈ હતી, અને માવઠાને લઇને ખેડૂતો પરેશાન બન્યા છે.

જામનગર શહેર અને જિલ્લામાં  મોસમે મીજાજ બદલ્યો છે, અને ગઈકાલે સાંજે સાત વાગ્યાથી એકાએક ઠંડો પવન ફૂંકાવાની શરૂ થઈ ગયો હતો. ત્યાર પછી રાત્રીના નવેક વાગ્યાના અરસામાં છુટાછવાયા વરસાદી છાંટા પડયા હતા. જેથી લોકોએ તુરંત જ ઘરની વાટ પકડી હતી. રાત્રે પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા. ત્યાર પછી વહેલી સવારે પણ કમોસમી વરસાદના ઝાપટાં ચાલુ રહેતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. ઠંડા પવન તેમજ વરસાદને લઈને પશુ પક્ષીઓ ઠુંઠવાયા હતા.

જામનગર જિલ્લાના ખેડૂતો માટે પણ માવઠાને લઈને ચિંતા પ્રસરી છે. કેટલાક ખેડૂતો ની તૈયાર જણસ બહાર રાખેલી હતી, જે કમોસમી વરસાદને લઈને પલળી ગઈ છે. ઉપરાંત કેટલાક શિયાળુ પાકને પણ માઠી અસર થઇ છે. જેથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 27.0 ડિગ્રી સેન્ટિગ્રેડ, જ્યારે મહત્તમ તાપમાન 28.0 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા રહ્યું હતું, ત્યારે પવનની ગતિ સરેરાશિ પ્રતિ કલાકના 25 કિ.મી.ની ઝડપે રહી હતી, જે મોડી સાંજે વધીને 35 કિમી સુધી પહોંચી હતી.