Gujarat

વેપારીને બેભાન કરીને ગઠિયો 9.70 લાખ રોકડ ભરેલો થેલો ઉઠાવી ગયો

By GS Team
15 Feb 20222 mins read
This article was originally published on 15 Feb 2022
વેપારીને બેભાન કરીને ગઠિયો 9.70 લાખ રોકડ ભરેલો થેલો ઉઠાવી ગયો

મોડાસા,તા.14

માલપુર તાલુકાના આંબલીયા ગામે ચોકડી પર અનાજ લે-વેચની દુકાન ધરાવતા વેપારીને તેમનો જ પરિચિત ગઠિયો કોઈ કેફી પદાર્થથી બેભાન કરી રૂ.૯.૭૦ લાખની રોકડ ઉઠાવી ગયો હતો.ગઠિયાની છેતરપિંડીનો ભોગ બનેલા આ વેપારીએ ૧૫ દિવસ બાદ માલપુર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તાલુકાના ચોરીવાડ(ઠેઠવા) ગામના ૪૪ વર્ષિય કનુભાઈ જેઠાભાઈ પટેલ માલપુર-લુણાવાડ હાઈવે માર્ગની આંબલીયા ચોકડીએ અર્બુદા ટ્રેડર્સ નામની દુકાન ધરાવે છે.અનાજની લે-વેચના વેપાર સાથે સંકળાયેલા આ વેપારીની દુકાને ગત ૨૮ જાન્યુઆરીના રોજ તેમના મૃતક સાઢૂનો મિત્ર પંકજભાઈ નામનો શખ્સ આવ્યો હતો.આ વેપારીના નંદરવા ગામ તા.શહેરા ખાતે રહતો સાઢૂ ભરતભાઈ શંકરભાઈ પટેલ સાથે આ પંકજભાઈ નામનો શખ્સ અગાઉ બે-ત્રણ વાર સાઢૂ ભરતભાઈ શંકરભાઈ પટેલ સાથે આ પંકજભાઈ નામનો શખ્સ અગાઉ બે-ત્રણવાર સાઢૂ જોડે આ વેપારીને ત્યાં આવેલો હોવાથી આ વેપારી આ ભાઈને ચહેરાથી ઓળખતા હતા.અને સાઢૂ ના મોત બાદ પણ કનુભાઈ જોડે આ શખ્સ ટેલીફોન ઉપર મૃતક સાઢૂ અને પરિવાર પ્રત્યે હમદર્દી પણ જતાવતો હતો.

૨૮ તારીખે ફોન કર્યા બાદ સાંજે ૭.૩૦ વાગે દુકાન ઉપર આવેલા આ પંકજભાઈએ વેપારી કનુભાઈ જોડે મૃતક સાઢૂ અને પરિવાર માટે કંઈક કરવાની સુફીયાણી વાતો કરી વેપારીને વિશ્વાસમાં લીધા હતા. વાતચીત દરમ્યાન આ શખ્સે તેની પાસેથી સીગારેટ કાઢી સળગાવી હતી અને ધુમાડાની ઉઠેલી શેરને લઈ આ વેપારી કનુભાઈ પટેલ જોત જોતામાં બેભાન થઈ ગયા હતા. જયારે ભાનમાં આવ્યા ત્યારે વેપારીએ જાગીને જોયું તો પંકજભાઈ નામનો શખ્સ અને દુકાનના ડ્રોઅરમાં રખાયેલ બેગમાં મૂકેલ રૂ. ૯.૭૦ લાખની રકમની ઉઠાંતરી થઈ ગઈ હતી.

વેપારી અને જયારે પોતે વિશ્વાસમાં આવી છેતરાઈ ગયા હોવાનું જણાયું હતું અને પોતાની પાસેથી સિલક,કેસીસી ભરવા ઉછીના મેળવેલા રૂપિયા અને બેંક ઓફ બરોડામાંથી ઉપાડેલા રૂપિયા મળી કુલ રૂ.૯.૭૦ લાખની મોટી રકમની ઉઠાંતરી થતાં જ આ વેપારીએ પંકજભાઈ નામના શખ્સના મોબાઈલ નંબર ઉપર ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવતો હતો.

આ વેપારીએ બીજા દિવસે શહેરા,તા.ગોધરામાં પણ આ શખ્સની પણ તપાસ કરી હતી પણ કંઈ હાથ લાગ્યું ન હતું.આખરે બનાવના ૧૫ દિવસ બાદ આ વેપારીએ માલપુર પોલીસ સ્ટેશને આ પંકજભાઈ નામના ગઠિયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે રૂ.૯.૭૦ લાખની રકમની ચોરીનો ગુનો પંકજભાઈ નામના શખ્સ વિરૂધ્ધ નોંધી તપાસ હાથ ધરી હતી.