Get The App

મહાનગરપાલિકાઓમાં વહીવટદાર શાસન, ગુજરાતની 4 મનપાનો ચાર્જ IAS અધિકારીઓને સોંપાયો

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
મહાનગરપાલિકાઓમાં વહીવટદાર શાસન, ગુજરાતની 4 મનપાનો ચાર્જ IAS અધિકારીઓને સોંપાયો 1 - image


Administrators to rule in municipal corporations: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ચૂંટાયેલા પક્ષના શાસનનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. જેને લઈને રાજ્ય સરકારે અધિસૂચના બહાર પાડી અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરમાં વહીવટદારોની નિમણૂક કરાઈ છે. હાલ માટે વહીવટી તંત્ર દ્વારા સંચાલન કરવા IAS અધિકારીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ફેરફારને કારણે હવે આગામી ચૂંટણી સુધી તમામ નીતિવિષયક નિર્ણયો અને વહીવટી કામગીરી આ વહીવટદારો હસ્તક રહેશે. જણાવી દઈએ કે, રાજ્યની 6 મહાનગરપાલિકામાં 10 માર્ચ 2026થી વહીવટદારોનું શાસન લાગુ થશે. 

કયા શહેરમાં કોને મળી જવાબદારી?

રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની મહાનગરપાલિકાઓમાં અનુભવી સચિવોને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

1. અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે.

2. વડોદરા: વડોદરા મહાનગરપાલિકાનો વહીવટી ચાર્જ GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલને સોંપાયો છે.

3. સુરત: દક્ષિણ ગુજરાતના મહત્ત્વના એવા સુરત મહાનગરપાલિકામાં અગ્ર સચિવ મિલિંદ તોરવણેને જવાબદારી સોંપવામાં આવી છે.

4. ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ હર્ષદ પટેલ વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળશે.

જણાવી દઈએ કે, રાજકોટ અને જામનગર મહાનગરપાલિકામાં વહીવટદારોની નિમણૂક આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે. ખાસ નોંધનીય બાબત એ છે કે, આ તમામ IAS અધિકારીઓ અગાઉ સંબંધિત શહેરોમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જેના કારણે શહેરના વહીવટનો અનુભવ તેમને પહેલેથી જ છે.

મહાનગરપાલિકાઓમાં વહીવટદારોના શાસન આવતા જ અનેક પડતર પ્રશ્નો અને આગામી પ્રોજેક્ટ્સની ગતિ પર લોકોની નજર રહેશે. ખાસ કરીને ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને શહેરી વિકાસના કામો હવે સીધા સરકારના પ્રતિનિધિઓ દ્વારા સંચાલિત થશે.