અદાણી વિલ્મારના પબ્લિક ઇશ્યૂ માટે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે મંજૂરી આપી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા પછી હવે રજિસ્ટ્રાર ઑફ કંપનીઝે આજે કંપનીઝ એક્ટ ૨૦૧૩ની કલમ ૩૦ હેઠળ અદાણી વિલ્મારના પબ્લિક ઇશ્યૂને મંજૂરી આપી દીધી છે. અદાણી વિલ્મારે ગત ૧૯મી જાન્યુઆરીએ કંપનીઝ એક્ટની કલમ ૩૨(૪) હેઠળ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ આર.ઓ.સી.માંં ફાઈલ કર્યું હતું. કંપનીઝ એક્ટની કલમ ૩૦(૨) હેઠળ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે આ પબ્લિક ઇશ્યૂના પ્રમાણિત કર્યો છે.
નિયમ મુજબ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની મંજૂરી મળે તે માટે કાયદેસર રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ પાસે પબ્લિક ઇશ્યૂને પ્રમાણિત કરાવવો પડે છે. રજિસ્ટ્રાર ઑફ કંપનીઝની મંજૂરી પછી જ પબ્લિક ઇશ્યૂ લાવી શકાય છે. અદાણી ગુ્રપની આ સાતમી કંપની પબ્લિક ઇશ્યૂ લાવી રહી છે. આગામી ૨૭મી જાન્યુઆરીએ અદાણી વિલ્માર પબ્લિક ઇશ્યૂ લઈને બજારમાં આવે તેવી સંભાવના છે. ૩૧મી જાન્યુઆરી પૂર્વે તેની પ્રક્રિયા પૂરી કરી દેવાનો ઇરાદો હોવાનું જણાય છે.




