Gujarat

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાયવા ગામના પાટિયા નજીક ખાનગી લક્ઝરી બસ અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત

By GS Team
4 Jan 20222 mins read
This article was originally published on 4 Jan 2022
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાયવા ગામના પાટિયા નજીક ખાનગી લક્ઝરી બસ અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત

- મોટરસાયકલ માં બેઠેલા ધ્રોલના ગાયત્રી નગર વિસ્તારના બે ડફેર જ્ઞાતિના પિતરાઈ ભાઈઓના કમકમાટી ભર્યા મૃત્યુ

જામનગર, તા. 04

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોળ નજીક જાયવા ગામના પાટિયા પાસે ગઈ રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ખાનગી લકઝરી બસ સાથે એક બાઈક ટકરાઈને પડીકું વળી ગયુ હતું. જે અકસ્માતમાં બાઈક પર બેઠેલા ધ્રોળના ગાયત્રી નગર વિસ્તારના બે ડફેર જ્ઞાતિના પિતરાઈ ભાઈઓના અંતરિયાળ મૃત્યુ નિપજયા છે. જેથી મૃતકના પરિવાર માં માતમ છવાયો છે. જે મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોળ ના જાયવા ગામ નજીક સરમરીયા દાદા ની જગ્યા પાસે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ખાનગી ટ્રાવેલ્સની એક વોલ્વો બસ અને એક મોટરસાયકલ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ફૂલ સ્પીડમાં આવેલું બાઈક ખાનગી લકઝરી બસ સાથે ટકરાઈને પડીકું વળી ગયુ હતું.

જે બાઈકમાં બેઠેલા ધ્રોળના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અલ્તાફ અલીભાઈ રાઠોડ (25 વર્ષ) અને તેનો પિતરાઇ ભાઇ અસલમ મુસાભાઇ મકવાણા (15 વર્ષ) કે જેઓને ગંભીર ઈજા થઈ હતી, અને બન્નેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા.

આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોલની પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને બન્ને મૃતદેહોનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઇને મૃતકના પરિવારજનોમાં માતમ છવાયો છે.

અકસ્માતના બનાવ અંગે મૃતક બાઇકચાલક અલ્તાફ ના ભાઈ અકબર અલીભાઈ રાઠોડે ધ્રોલ પોલીસ મથકમાં પટેલ ટ્રાવેલ્સ ની જીજે-1 ડીજે 4448 નંબરની ખાનગી લક્ઝરી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે. જ્યારે બસ ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટયો હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે.