Get The App

શહેરમાં અનેક માર્ગો પર ભંગાર વાહનોનો ખડકલો

દબાણોના કારણે રસ્તાઓ સાંકડા બનતા લોકો પરેશાન

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
શહેરમાં અનેક માર્ગો પર ભંગાર વાહનોનો ખડકલો 1 - image

 

શહેરના અનેક માર્ગોની આસપાસ ભંગાર અથવા ધૂળ ખાતા વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે, ગેરકાયદે દબાણોના કારણે રસ્તાઓ સાંકડા બનતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

મ્યુનિ.કોર્પોરેશનની દબાણ અને સિક્યુરિટી શાખા અવારનવાર દબાણકર્તાઓ સામે ઝુંબેશ ચલાવી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરે છે. આજે દબાણશાખાની ટીમે કમાટીબાગ, ફતેગંજ અરવિંદબાગ, ખોડિયારનગર, ચાર દરવાજા, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં ટ્રાફિકને નડતરૃપ દબાણો દૂર કર્યા છે.

આ ઉપરાંત, બહુચરાજી મંદિર પાસેથી ભંગાર કાર,રીક્ષા, ટેમ્પો સહિતના વાહનોનું ટોઈંગ કરી અટલાદરા સ્ટોર ખાતે જમા કરાવ્યા છે. ગઈકાલે પણ તુલસીવાડી પાસેથી ધૂળ ખાતી કાર ટોઈંગ કરાઈ હતી.

બીજીતરફ, મચ્છીપીઠ, ગધેડા માર્કેટ પાસે, નાગરવાડા, ગોરવા સહિતના વિસ્તારોના રસ્તાઓ પર અસંખ્ય વાહનો ભંગાર હાલતમાં પડી રહ્યા છે, મુખ્ય માર્ગોની સાથે ખાસ કરીને આંતરિક માર્ગો પર આ સમસ્યા વધુ વિકટ બની છે. આ પરિસ્થિતિના કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવી પડે છે, જેથી વાહનટોઈંગની કામગીરીને વધુ વેગ આપવાની લોકમાગ ઊઠી છે.