Gujarat

વિંઝોલમાં સારવારના અભાવે છેલ્લા ચાર દિવસથી આખલો કણસી રહ્યો છે

By GS Team
10 Nov 20211 min read
This article was originally published on 10 Nov 2021
વિંઝોલમાં સારવારના અભાવે છેલ્લા ચાર  દિવસથી આખલો કણસી રહ્યો છે

અમદાવાદ,તા.10 નવેમ્બર 2021, બુધવાર

વિંઝોલ પાસેના વિનોબાભાવે નગરમાં છેલ્લા ચારેક દિવસથી એક આખલો બીમાર હાલતમાં કણસી રહ્યો છે. સ્થાનિકો દ્વારા એનિમલ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ ઉપર ફરિયાદ કરવા છતાંય કોઇ મદદ મળી ન હોવાથી જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

રખડતા અને બીમાર પશુઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા એનિમલ હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે. આ માટે વિશેષ એમ્બ્યુલન્સો પણ મુકવામાં આવી છે. તેમ છતાંય જરૃરીયાતના  સમયે જરૃરીયાતમંદ પશુઓ સુધી આ સેવા પહોંચી રહી ન હોવાની વ્યાપક ફરિયાદો  ઉઠી છે.

ભૂતકાળમાં પણ અનેક કિસ્સા બની ચૂક્યા છે જેમાં પશુઓની સારવાર માટે હેલ્પલાઇન નંબરમાં વારંવાર કોલ કરવા છતાંય મદદ મળી ન હોય ! સંલગ્ન સેવાભાવિ સંસ્થાઓ પણ મદદે આવી રહી ન હોવાથી જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઇ રહી છે.

જીવદયા માટે એકબાજુ કરોડો રૃપિયાની ગ્રાન્ટો ફાળવાય છે. પરંતુ વાસ્તવિક ઘરાતલ પર કણસતા પશુઓની મદદ માટે સેવા કરવામાં મોટાભાગના કિસ્સાઓમાં ભારે ઉદાસીનતા સેવવામાં આવી રહી હોવાનું લોકોનું માનવું છે. વિનોબાભાવેનગરમાં આખલો છેલ્લા ચારેક દિવસથી કણસી રહ્યો છે, વારંવાર કોલ કરવા છતાંય કોઇ સંસ્થા મદદે આવી રહી નથી. જેને લઇને આખરે સ્થાનિક અગ્રણીએ મુખ્યમંત્રી સુધી આ અંગેની ફરિયાદ કરી છે.