જામનગરઃ ખાનગી બેંકના અધિકારીએ ગ્રાહકો સાથે રૂપિયા એક લાખની છેતરપીંડી કરી

જામનગર, તા. 22 નવેમ્બર 2021 સોમવાર
જામનગરમાં આવેલી એક ખાનગી બેંક માં લોન ઓફિસરે બે નવા ગ્રાહક ના ખાતા ખોલાવ્યા પછી લોનની અપાતી વેલકમ કીટ ના એટીએમ કાર્ડ ના પાસવર્ડના આધારે બંને ગ્રાહકના ખાતામાંથી પચાસ પચાસ હજાર રૂપિયાની રકમ ઉપાડી લઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ચકચાર જાગી છે.પોલીસે ફરારી લૉન ઓફિસર ની શોધખોળ હાથ ધરી છે.
સામાન્ય રીતે આપણે બેન્કના વ્યવહારોને સુરક્ષિત માનતા હોઈએ છીએ પણ ખરેખર કેટલાક કિસ્સાઓ એવા સામે આવેછે જેમાં બેંક કર્મચારી કે અધિકારી દ્વારા જ ગ્રાહકો સાથે છેતરપીંડી વિશ્વાસઘાટ કરવામાં આવતા હોય છે, આવો જ એક કિસ્સો જામનગરમાં સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ સ્વરૂપે નોંધાતા સામે આવ્યો છે.
પવનકુમાર પરમેશ્વર ભારતી નામનો પરપ્રાંતીય શખ્સો જે ભારત ફાઇનાન્શીયલ ઇન્ફ્લુઝન બ્રાંચ ઇન્ડુસલેન્ડ બેંકમા ક્લસ્ટર મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેણે સીટી એ ડીવીઝનમાં બેન્કના જ લોન ઓફીસર અને ભાવનગરના વતની યશરાજસિંહ ઝાલા સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.
જેમાં યશરાજસિંહ ઝાલાએ બે કસ્ટમરોના એકાઉન્ટ ખોલાવી જેમા લોનની અપાતી વેલકમ કીટમાથી એટીએમ કાર્ડ તથા તેના પાસવર્ડનુ કવર ગ્રાહકોને ન આપી આ બન્ને કસ્ટમરોના ખાતામાથી તેમની જાણ બહાર એટીએમ કાર્ડ વડે પચાસ-પચાસ હજાર રૂપીયા મળી કુલ એક લાખ રૂપિયા ઉપાડી લઇ અને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને સીટી એ ડીવીઝન પોલીસે આઈપીસી કલમ 406 અને 420 મુજબ ગુનો નોંધ્યો છે, અને બેન્કમાંથી કેટલૂંક સાહિત્ય કબજે કર્યું છે, જ્યારે આરોપી યશરાજસિંહ પ્રવિણસિંહ ગોહિલ ભાગી છૂટયો હોવાથી પોલીસે તેને શોધવા માટે તપાસનો દોર ભાવનગર સુધી લંબાવ્યો છે.




