Gujarat

વડોદરા જિલ્લામાં ઘેર ઘેર ફરી આંખની તપાસ અને મોતિયાના શંકાસ્પદ કેસો શોધવાનું અભિયાન

By GS Team
14 Feb 20222 mins read
This article was originally published on 14 Feb 2022
વડોદરા જિલ્લામાં ઘેર ઘેર ફરી આંખની તપાસ અને મોતિયાના શંકાસ્પદ કેસો શોધવાનું અભિયાન

- મે મહિના સુધીમાં જિલ્લાના ગ્રામ વિસ્તારમાં 10 હજારથી વધુ લોકોની આંખની સર્જરી કરાશે 

વડોદરા, તા. 14

મોતિયા અંધત્વ નિવારણ અને દૃષ્ટિ ખામી નિયંત્રણ ઝુંબેશનો રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. તેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં પણ  ઘેર ઘેર ફરી આંખની તપાસ અને મોતિયાના શંકાસ્પદ કેસો શોધવાના અભિયાનનું આયોજન કર્યું છે. જિલ્લામાં આરોગ્ય કાર્યકરોને આંખની તપાસ દ્વારા મોતિયા થી આવેલો અંધાપો ઓળખવા અને શંકાસ્પદ કેસો અલગ તારવવાની તાલીમ આપવામાં આવી છે. જેઓ બંને આંખે ૩ મીટર કરતાં ઓછું જોઈ શકતા હોય તેઓને મોતિયો હોવાની સંભાવના છે. રાજ્ય સરકારે આવા તમામ વ્યક્તિઓની ઓળખ કરી,આંખ તપાસ કરીને સરકારી અને રજીસ્ટર્ડ સ્વૈચ્છીક સંસ્થાઓની આરોગ્ય સુવિધાઓની મદદથી મોતિયાનું વિનામૂલ્યે ઓપરેશન કરી નવી દૃષ્ટિ આપવાનું આયોજન કર્યું છે. તેના ભાગરૂપેજે શંકાસ્પદ કેસો મળશે તેમની આંખોની વિગતવાર તપાસ નજીકના પ્રાથમિક કે સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે તબીબો કરશે. જેમને મોતિયો હોવાનું નિદાન થશે તેમની શસ્ત્રક્રિયા અને નેત્રમણી સ્થાપિત કરવા માટે જમનાબાઈ હોસ્પિટલ, સયાજી હોસ્પિટલ,ગોત્રી હોસ્પિટલ અને સરકાર સાથે કરારથી જોડાયેલી સંસ્થાઓના દવાખાનાઓ ખાતે વિનામૂલ્યે જરૂરી સારવાર આપવામાં આવશે. જમનાબાઈ હોસ્પિટલના નેત્રરોગ સર્જન નોડલ અધિકારી તરીકે આ અભિયાનનું સંકલન કરશે.


વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં 10612 જેટલાં લોકો મોતિયાને લીધે પૂર્ણ કે આંશિક અંધાપો ભોગવતા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. મે 2022 સુધીમાં આ તમામ લોકોની મોતિયાની જરૂરી સર્જરી કરી, નેત્રમણી બેસાડી દેવામાં આવશે. જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મોતિયાની 80606 શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી છે.