Gujarat

અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે ફુટ ઓવરબ્રીજ મુલાકાતીઓ માટે નવુ નઝરાણું બની જશે

By GS Team
10 Nov 20211 min read
This article was originally published on 10 Nov 2021
અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે ફુટ ઓવરબ્રીજ મુલાકાતીઓ માટે નવુ નઝરાણું બની જશે

અમદાવાદ,મંગળવાર,9 નવેમ્બર,2021

અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે બની રહેલા ફુટ ઓવરબ્રીજની નેવુ ટકા કામગીરી પુરી કરી લેવામાં આવી છે.માત્ર ફીનીસીંગની કામગીરી બાકી છે.રુપિયા ૭૪,૨૯,૭૮,૪૦૬ના ખર્ચથી તૈયાર કરવામાં આવેલો આ ફુટ ઓવરબ્રીજ આગામી બે મહિનામાં લોકો માટે ખુલ્લો મુકાય એવી સંભાવના છે.આ ફુટ ઓવરબ્રીજની મદદથી નદીના એક છેડેથી બીજા છેડે ચાલતા જઈ શકાશે.

આ અંગે મળતી માહિતી મુજબ, સાબરમતી નદી ઉપર એલિસબ્રીજ અને સરદારબ્રીજ વચ્ચે સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત ફુટ ઓવરબ્રીજનું નિર્માણકાર્ય ચાલી રહ્યુ છે. બ્રીજની લંબાઈ ૩૦૦ મીટર રાખવામાં આવી છે.પહોળાઈ ૧૦થી ૧૪ મીટર સુધીની રાખવામાં આવી છે.સ્ટીલની મદદથી બનાવવામાં આવેલા આ ફુટ ઓવરબ્રીજ ઉપર બેઠક વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.જેથી બ્રીજ ઉપરથી પસાર થનારા મુલાકાતીઓ થોડીવાર રેસ્ટ પણ કરી શકે. રાતના સમયે આ ફુટ ઓવરબ્રીજ રંગબેરંગી લાઈટોની રોશનીથી ઝળહળી ઉઠશે.આ બ્રીજ ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ કીનારે બે અદ્યતન સ્પોર્ટસ સંકુલ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.