હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં બઘડાટી
મહિલા અને તેના પરિવારના અન્ય સભ્યોને માર મારી ધમકી આપી, 6 શખ્સો ઝડપાયા
શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં રહેતા સોનલબેન શૈલેષભાઈ મકવાણા ગતરોજ ધુળેટીના દિવસે પોતાના ઘરે તેમના જેઠાણી તથા અન્ય મહિલાઓ સાથે બપોરના ત્રણ કલાકના અરસામાં પુરી વણતા હતા. આ દરમિયાન તેમના ઘરની બાજુમાં આવેલા હનુમાનજી મંદિરમાં ધૂળેટીના તહેવારની ઉજવણી થઈ રહી હતી. આ દરમિયાન તેમની આજુબાજુમાં રહેતા શક્તિ ડાભી, શક્તિ રાઠોડ, રાકેશ ઉર્ફે રાકો, ફેઝલ, કૃષ્ણદેવ ઉર્ફે બુચા ગોહિલ, શાહરૂખ, વિવેક વાળા ઉર્ફે ભજ્જી અને સમીર ઉર્ફે શાંભો ધૂળેટી રમી રહ્યાં હતા અને સાથે બિભિત્સ ગાળો બોલી રહ્યાં હતા. જેથી સોનલબેન ઘરની બહાર આવી આ લોકોને અપશબ્દો બોલવાની ના પાડતા ઉક્ત લોકોએ તેમને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી. ઉક્ત શક્તિ ડાભીએ તેમની તથા મનીષાબેન સાથે અયોગ્ય વર્તન કરી તેમજ તેમની સાથેના અમિતાબેનને પથ્થર મારી ઈજા કરી અને તેમના ભત્રીજા કિશનને ધોકા વડે માર મારી ઈજા કરી જીવતા નહી રહેવા દઈએ તેવી ધમકી આપી જતાં રહ્યાં હતા. આ અંગે સોનલબેને ઉક્ત આઠેય શખ્સો સામે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી શક્તિ કાળુભાઈ ડાભી, રાકેશ ઉર્ફે રાકો ધનજીભાઈ યાદવ, શાહરૂખ મોબતખાન પઠાણ, સમીર ઉર્ફે શાંભો મીરૂભાઈ સુમરા, વિવેક ઉર્ફે ભજી હરેશભાઈ વાળોદરા અને શક્તિ રૂપસંગભાઈ રાઠોડને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ફેઝલ બુકેરા અને કૃષ્ણદેવ ઉર્ફે બુશ્યો ગોહિલની શોધખોળ શરૂ છે.
ઝડપાયેલા પાંચ શખ્સો સામે નોંધાયા છે અનેક ગુના
બોરતળાવ પોલીસે ઝડપેલા ૬ આરોપીઓ પૈકી પાંચ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં શક્તિ કાળુભાઈ ડાભી સામે ભાવનગર અને બોટાદમાં ૧૩ ગુના, રાકેશ ઉર્ફે રાકો ધનજીભાઈ યાદવ સામે ભાવનગરમાં ત્રણ ગુના, શાહરૂખ મહોબતખાન પઠાણ સામે ભાવનગરમાં ત્રણ ગુના, સમીર ઉર્ફે શાંભો મીરૂભાઈ સુમરા સામે ભાવનગરમાં ૧૨ ગુના અને શક્તિ રૂપસંગભાઈ રાઠોડ સામે ભાવનગરમાં બે ગુનો નોંધાયેલા છે.


