Gujarat Fishermen Stranded in Iran : અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ઘણાં દેશોમાં પડી રહી છે. સમગ્ર ખાડીના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વલસાડના ઉમરગામના મરોલી સહિત ગુજરાતના 72 માછીમારો ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાયા છે. યુદ્ધની તણાવની સ્થિતિ વચ્ચે માછીમારો છેલ્લા 25 દિવસથી બોટ પર જીવ ગુજારી રહ્યા છે. જો કે, માછીમારોએ પોતે સલામત હોવાનું જણાવ્યું છે. પરંતુ યુદ્ધને લઈને ચિંતા વ્યક્ત કરતાં માછીમારોએ વહેલી તકે ભારત પરત લાવવા સરકારેને અપીલ કરી છે.
ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને અપીલ
મિડલ ઈસ્ટમાં યુદ્ધની તણાવની સ્થિતિની ભારત સહિત અનેક દેશોને અસર પડી રહી છે. તેવામાં વલસાડ જિલ્લાના ઉમરગામના મરોલી ગામના 25થી વધુ સહિત ગુજરાતના 72 જેટલાં માછીમારો ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાયા છે.
જેમાં યુદ્ધ શરૂ થતાં માછીમારોનો પરિવાર સાથે સંપર્ક ન થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જો કે, થોડા દિવસ બાદ ફસાયેલા માછીમારો સાથે સંપર્ક થતાં પરિવારે રાહત અનુભવી હતી. યુદ્ધને કારણે માછીમારોના પરિવારોમાં ચિંતા વધી છે. સ્વજનો હેમખેમ પરત ફરે એવી પરિવારજનો પ્રાર્થના કરી રહ્યા છે.

માછીમારોએ શું કહ્યું?
ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાયેલા મરોલીના માછીમાર સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, યુદ્ધ શરૂ થતાં જ અમે ભારે ચિંતામાં મુકાયા હતા. જીવ બચાવવા માટે છેલ્લા 25 દિવસથી બોટમાં જીવન ગુજારી રહ્યા છે. કોઈ મુશ્કેલી નથી પરંતુ આ યુદ્ધ વધુ ચાલશે તો ઊભી થનારી મુશ્કેલીને લઈ ચિંતા છે.
વધુમાં માછીમારોએ જણાવ્યુ કે, ઈરાનના આરમેની એરપોર્ટ સુધી પહોંચી ગયા બાદ સરકાર ઈરાન એમ્બેસી સાથે વાતચીત કરી ફસાયેલા તમામ માછીમારોને વિમાન મારફતે ભારત પરત લાવવા સહયોગ કરે તેવી અપીલ.


