Vav Tharad News: વાવ થરાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે ગુજરાતના સમસ્ત આંજણા ચૌધરી સમાજ દ્વારા કલેકટરને લેખિત આવેદન પત્ર પાઠવીને સમાજના યુવાનો પર થયેલા કથિત પોલીસ અત્યાચાર અને ખોટી ફરિયાદો સામે કડક પગલાં લેવાની માગ કરવામાં આવી છે. મહત્વનું છે કે 18 માર્ચના રોજ ચૌધરી સમાજના સંમલેન બાદ દીકરી પરત લાવવા ઘણા યુવકો ઉંણ ગામે પહોંચ્યા હતા જેથી બે સમાજ વચ્ચે ભીષણ ટકરાવ થયો હતો, સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો. હાલ ચૌધરી સમાજમાં પોલીસની એકતરફી કાર્યવાહીના આરોપ સાથે રોષ ભભૂકી ઉઠ્યો છે.
'હથિયાર વગર ઉંણ ગામે પહોંચ્યા હતા'
આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 'ગત તારીખ 18 માર્ચના રોજ ભાભર તાલુકાના રૂણી ગામે સમાજનું સંમેલન યોજાયું હતું. ત્યારબાદ સમાજની દીકરીને પરત લાવવા બાબતે શાંતિપૂર્ણ ચર્ચા-વિચારણા કરવા માટે સમાજના લોકો કોઈ પણ પ્રકારના હથિયાર વગર ઓગડ તાલુકાના ઉંણ મુકામે પહોંચ્યા હતા.'
પોલીસ અત્યાચારના ગંભીર આરોપો
'ઉંણ મુકામે પહોંચેલા શાંતિપ્રિય જનસમૂહ પર સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર કે. બી. દેસાઈ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. સમાજના આગેવાનોનું કહેવું છે કે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા આ ઘટનામાં સમાજના અનેક યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવાનો પર કલમ 307 (હત્યાનો પ્રયાસ) જેવી ગંભીર અને ખોટી કલમો લગાવીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ અધિકારીએ સત્તાનો દુરુપયોગ કરી વાહનો તેમજ માલ-મિલકતને મોટું નુકસાન પહોંચાડ્યું છે'

સામાજિક વૈમનસ્ય ફેલાવનારાઓ સામે પગલા લેવા માગ
આવેદન પત્રમાં અન્ય એક ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવાયું છે કે, 'સોશિયલ મીડિયાના માધ્યમથી બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય અને વિખવાદ પેદા થાય તેવા નિવેદનો આપનાર ઠાકરશીભાઈ રબારી સામે હજુ સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. ભારતના બંધારણ આર્ટિકલ 21 હેઠળ દરેક નાગરિકને સ્વતંત્ર જીવવાનો અધિકાર છે, ત્યારે બંધારણથી ઉપર જઈને ઉશ્કેરણીજનક નિવેદનો આપનારાઓ સામે રાજદ્રોહનો ગુનો નોંધાવો જોઈએ તેવી માંગ કરાઈ છે.'

આંજણા સમાજની મુખ્ય માંગણીઓ
-આ સમગ્ર ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
-સત્તાનો દુરુપયોગ કરનાર સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.
-સમાજના નિર્દોષ યુવાનો પરથી ખોટી કલમો હટાવવામાં આવે.
-સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક ભાષણો આપી ભયનું વાતાવરણ ઊભું કરનારા તત્વો સામે કાયદેસરના પગલા ભરાય
વધુમાં ચીમકી ઉચ્ચારવામાં આવી કે આંજણા ચૌધરી સમાજ શાંતિપ્રિય સમાજ છે અને જો આ મામલે યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં આગળની વ્યૂહનીતિ નક્કી અન્ય કાર્યક્રમો અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે.


