Get The App

72.4 % વાહનચાલકોના મતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું એ ચતુરાઈ!

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
72.4 % વાહનચાલકોના મતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું એ ચતુરાઈ! 1 - image

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા મનોવૈજ્ઞાાનિક સર્વે : 62 ટકા લોકોને ખબર હોય કે રસ્તા પર CCTV કેમેરા કે પોલીસ નથી તો તેઓ નિ:સંકોચ સિગ્નલ તોડશે : 60 % વાહનચાલકોને અહંકારનો નશો

રાજકોટ, : શું તમને ટ્રાફિક સિગ્નલ પર સતત હોર્ન વગાડવાની આદત છે? શું તમે માનો છો કે નિયમ તોડવો એ તમારી હોશિયારી કે ચતુરાઈ છે? જો તમારો જવાબ 'હા' હોય, તો સાવધાન! તમે કોઈ બહાદુરી નથી કરી રહ્યા, પરંતુ મનોવિજ્ઞાાનની દ્રષ્ટિએ તમે એક ગંભીર નકારાત્મક માનસિકતાથી પીડાઈ રહ્યા છો.  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ૧૪૫૬ લોકો પર હાથ ધરવામાં આવેલો સર્વે ભારતીય રસ્તાઓ પર દોડતા વાહનચાલકોની કાળી બાજુ ઉજાગર કરે છે.

સર્વેનું સૌથી ભયાનક તારણ એ છે કે 72.4 % લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું તેને હોશિયારી કે ચતુરાઈ ગણે છે. જ્યારે સમાજમાં કાયદાનું પાલન કરવાને બદલે તેને તોડવો એ ગર્વની વાત બની જાય, ત્યારે અકસ્માતોની સંખ્યામાં વધારો થવો સ્વાભાવિક છે. આ આંકડો દર્ર્શાવે છે કે આપણી સામાજિક નૈતિકતાનું અધ:પતન થઈ રહ્યું છે. સર્વે મુજબ 62.8 % લોકો એવા છે કે જો તેમને ખબર હોય કે રસ્તા પર સીસીટીવી કેમેરા કે પોલીસ નથી, તો તેઓ નિ:સંકોચ સિગ્નલ તોડશે. આ દર્શાવે છે કે ભારતીય વાહનચાલકોમાં સ્વ-શિસ્ત કે સુરક્ષાની ભાવના કરતા દંડનો ડર વધુ પ્રભાવી છે. પોલીસની ગેરહાજરીમાં લોકો પોતાની અને બીજાની જિંદગી જોખમમાં મૂકતા અચકાતા નથી.

એટલું જ નહીં, રસ્તા પર માત્ર વાહનો નથી અથડાતા, અહંકાર પણ અથડાય છે. 60 % લોકોનું માનવું છે કે મોટી કે મોંઘી ગાડી ચલાવનારા લોકો નાના વાહનચાલકો કે પદયાત્રીઓને ગણતરીમાં જ લેતા નથી. આ વર્તણૂક સામાજિક દરજ્જાના અહંકારનું પરિણામ છે, જે રસ્તા પર અસલામતી પેદા કરે છે. વળી, રેલ્વે ફાટક હોય કે ટ્રાફિક જામ, સતત હોર્ન વગાડનારા 15% લોકો એવું માને છે કે અવાજ કરવાથી તેઓ ઝડપથી આગળ વધી શકશે! મનોવૈજ્ઞાાનિક રીતે આ એક જ્ઞાાનાત્મક ક્ષતિ છે. આવા લોકો અસલામતી અને અધીરાઈથી પીડાતા હોય છે અને તેમને ખ્યાલ નથી હોતો કે તેમનો ઘોંઘાટ અન્ય માટે માનસિક ત્રાસ સમાન છે.