રાજ્ય સરકારના વર્ષ 2026-27ના બજેટમાં પાટનગરનો સમાવેશ
ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં જાહેર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં ૬૪૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમાં નાના કર્મચારીઓ માટે ફ્લેટ ટાઇપ આવાસોની ટાવર કોલોનીઓ બાંધવા માટે, પીવાના પાણી અને ગંદાપાણીના નિકાલ માટેના વ્યવસ્થાપન કરવા માટે, રોડ અપગ્રેડેશન અંતર્ગત નવા રસ્તા બનાવવા, ઓવરબ્રિજ અને અન્ડરપાસના બાંધકામ કરવા માટે, સ્ટ્રીટ લાઇટનું નેટવર્ક વધારવાની સાથે વીજળીના બચત માટે સરકારી ઇમારતોમાં ઓટોમેટેડ સિસ્ટમ લગાડવાની બાબતો સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત પાટનગરમાં ૧૦૦ કરોડની જોગવાઇ નમો સેન્ટ્રલ લાયબ્રેરી માટે, ૧૦૦ કરોડ કરાઇ એકેડેમીમાં ઓલમ્પિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અને ૧૦૦ કરોડની જોગવાઇ પેરા હાઇ પર્ફોમન્સ સેન્ટર માટે કરાઇ છે.
- નવા સરકારી આવાસની ઘટનો મુદ્દો ધ્યાને લેવાયો
- ફ્લેટ ટાઇપ આવાસની ટાવર કોલોનીઓ બાંધવા બજેટમાં રૂ. 282 કરોડ ફાળવાયા
- મહાનુભાવો માટે ક કક્ષાના 20, ખ કક્ષાના 30 તથા બાબુઓ માટે ગ કક્ષાના 60 બંગલા બાંધવા સાથે સમારકામ હાથ ધરાશે
પાંચ દાયકા પહેલા બાંધવામાં આવેલા ઘ, ચ, છ અને જ ટાઇપના આવાસો પૈકીના મોટાભાગના આવાસોને છેલ્લે કરવામાં આવેલા સ્ટ્રક્ચરલ સર્વેના પગલે ભયનજક જાહેર કરીને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેની સામે નવી વસાહતો ઉભી કરવામાં મોડુ થઇ ચુક્યું છે.
છેલ્લા ચાર વર્ષથી જુદા જુદા સેક્ટરોમાં ટાવર કોલોનીઓ બાંધવાનું કામ શરૂ કરવામાં આવ્યા પછી વિલંબે લેવાતા નિર્ણયો અને વિલંબે ચાલતી કામગીરીના કારણે હાલમાં સેંકડો કર્મચારીઓ આવાસની રાહ જોઇ રહ્યાં છે. ત્યારે આગામી દિવસોમાં સ્થિતિમાં સુધાર લાવી શકાય તેના માટે ૧૧૧ કરોડ અને ૧૭૧.૧૯ કરોડની જોગવાઇ જુદા જુદા સદરમાં મકાન બાંધકામ માટે કરાઇ છે. બીજી બાજુ સનદી અધિકારીઓ અને મહાનુભાવો માટેના ક અને ખ ટાઇપના નવા ૫૦ તથા ઉચ્ચ અધિકારીઓ માટેના ગ ટાઇપના ૬૦ બંગલા માટે રૂપિયા ૧.૨૫ કરોડની પ્રાથમિક જોગવાઇ કરાઇ છે. સાથે બંગલા અને નાના આવાસોના સમારકામ માટે રૂપિયા ૨.૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- જીમખાના, ટાઉનહોલ, માહિતી ભવનમાં સુધારણાનો ખર્ચ કરાશે
પાટનગરમાં જાહેર સુવિધાની જાળવણી, સુધારણા અને રી ડેવલપમેન્ટના કામ હાથ ધરવામાં આવનાર છે. સેક્ટર ૧૭માં ટાઉનહોલના નવીનીકરણ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યા બાદ અહીં સુવિધાઓની સુધારણા માટે વધુ ૧.૩૮ કરોડ ફાળવાયા છે. જ્યારે સેક્ટર ૧૯માં આવેલા વીઆઇપી જીમખાના માટે પણ આવી સ્થિતિ છે. અહીં રીડેવલપમેન્ટ પાછળ રૂપિયા ૬૯ લાખના ખર્ચને મંજુર કરાયો છે. જ્યારે સેક્ટર ૧૬માં ઇલેકટ્રોનિક મિડીયા ભવનના રીનોૌવેશન માટે ૨.૭૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- જ માર્ગ પરના વીવીઆઇપી વિસ્તારને સુરક્ષિત કરવા માટે
- નેશનલ હાઇવે નંબર 8-ક માટે પાલજથી સરગાસણ સુધી વૈકલ્પિક 4 લેન રોડ બનશે
- શહેરમાંથી નીકળતા નેશનલ હાઇવે પર અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાથી બજેટમાં ટોકન જોગવાઇ કરવામાં આવી
રાજ્ય સરકારના બજેટમાં ગાંધીનગરના રોડ નેટવર્કને લઇને સુચવવામાં આવેલી બાબતોમાં આ યોજના સામેલ કરવામાં આવી છે. જોકે હાલના તબક્કે તેના માટે માત્ર રૂપિયા ૧ લાખની ટોકન જોગવાઇ કરવામાં આવી છે. તેમાં જ માર્ગ એટલે, કે નોશનલ હાઇ વે નંબર ૮-ક માટે વૈકલ્પિક માર્ગ બનાવવાની વાત કરાઇ છે. વૈકલ્પિક માર્ગ પાલજથી બાસણ, શાહપુર અને ધોળાકુવા થઇ સરગાસણથી ગાંધીનગર-સરખેજ હાઇ વે સાથે જોડાઇ જશે. પરિણામે આખા જ માર્ગ પરથી ભારે વાહનોના આવાગમનને બંધ કરી શકાશે. તના અંતર્ગત આ માર્ગને ઉપરોક્ત પુરી લંબાઇમાં ફોરલેન કરવાની સાથે તેનું મજબુતી કરણ કરવાનું રહેશે.
- શહેરમાં માર્ગો પહોળા કરવા, નવા બાંધવા 40 કરોડ મળશે
શહેરમાં વિવિધ વસાહતોમાં માર્ગોના મજબુતીકરણ અને પહોળા અને ઉંચા કરવા તથા જ્યાં પણ ફોરલેન રોડ છે, ત્યાં રોડની વચ્ચે ડિવાઇડર મુકવા માટે, વિવિધ સ્થળોએ નવા પાકગ પ્લેસ ઉભા કરવા માટે અને ફૂટપાથની સુવિધા આપવા માટે રૂપિયા ૪૦ કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. તેમાં ખાનગી વસાહતોમાં પણ માર્ગની સુવિધા આપવાનો ઉલ્લેખ બજેટમાં કરવામાં આવ્યો છે. તેના સંબંધમાં આગામી સમયમાં પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરીને રાજ્યના માર્ગ અને મકાન વિભાગની મંજુરીઓ લેવાની રહેશે.
- ચ-2 અને ચ-3 જંકશન તથા માર્ગ નંબર-5 ઉપર અન્ડરપાસ
પાટનગરનાં મુખ્ય માર્ગો પર ટ્રાફિકના ભારણમાં સતત વધવા સાથે સરકારી કચેરીના ખુલવા બંધ થવાના સમયે ચ રોડ પરના જંકશનો પર ટ્રાફિક જામની સ્થિતિ વકરી છે. ત્યારે ચ ૨ અને ચ ૩ જંકશન પર અન્ડરપાસ આપવાની યોજના નવા બજેટમાં જાળવી રાખવામાં આવી છે. અંતિમ નિર્ણય જોકે ક્યારે લેવાશે તે સમય બતાવશે. દરમિયાન ખ રોડથી ક રોડને જોડતાં માર્ગ નંબર ૫ ઉપરથી પસાર થતાં રેલ્વે ટ્રેકને લઇને ટ્રાફિક જામની સર્જાતી સમસ્યા સંબંધે ટ્રેક નીચેથી અન્ડર બ્રિજ આપવાની યોજનાને જાળવી રખાઇ છે.


