મહિસાગર જિલ્લાના કડાણા જળાશયમાં 44,000 લાખ ઘનફૂટ પાણી સંગ્રહિત

હિંમતનગર,
તા.21
જિલ્લામાં નબળા ચોમાસાથી જળાશયોમાં પાણી ઓસરી રહ્યાં છે. ઉનાળુ
ખેતી માટે સિંચાઈનાં પાણી મળવાં મુશ્કેલ થઈ શકે છે ત્યારે સારા સમાચાર એ છે કે કડાણા
ડેમમાંથી ઉનાળુ ખેતી માટે ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે જેના કારણે સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની
ર૦ હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળવાની સાથે ૧૦૦૦થી વધુ બોરકૂવા રીચાર્જ થશે. કડાણા
ડેમમાં અત્યારે ૪૪,૧૧૯ લાખ ઘનફૂટ
પાણી સંગ્રહીત હોવાનું ડેમસાઈટ સૂત્રોએ જણાવ્યું છે.
સાબરકાંઠામાં ચોમાસા દરમ્યાન ૭૭.૯૬ ટકા અને અરવલ્લીમાં રાજ્યનો
સૌથી ઓછો ૬૩.૦૯ ટકા વરસાદ વરસતાં જળાશયોમાં પાણીની સિમિત આવક હતી છતાં રવી સીઝનની ખેતી
માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી મળ્યું પરંતુ હવે મોટાભાગના જળાશયોમાં
પીવાના પાણીનો જથ્થો આરક્ષિત રખાતાં ઉનાળું ખેતી માટે જિલ્લાના જળાશયોમાંથી ખેડૂતોને
પાણી મળવું મુશ્કેલ છે અને મળે તો પણ વધુમાં વધુ ર પાણી મળી શકે છે. ત્યારે ઉત્તર ગુજરાતના
ખેડૂતોની જીવાદોરી બનેલી સુજલામ કેનાલ કાળઝાળ ઉનાળામાં ખેડૂતો માટે ફરી એકવાર સંજીવની
સાબિત થઈ શકે છે. કડાણા ડેમ સાઈટ વિસ્તારમાં ભારે વરસાદ પછી કડાણા ડેમ છલકાયો હતો અને
શિયાળુ ખેતી માટે સાબરકાંઠા,
અરવલ્લી સહિતના ખેડૂતોને સુજલામ કેનાલ મારફતે પાણી આપ્યા પછી પણ મહત્તમ જથ્થો સંગ્રહીત
છે. જેથી ઉનાળાના સમયમાં ઉપયોગમાં લેવા માટે કડાણા ડેમમાં અત્યારની સ્થિતિએ ૮૮ર મીલીયન
ક્યુબિક ફીટ પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે અને કડાણા ડેમમાંથી રાજ્યના ૯ જિલ્લાઓને
સિંચાઈ માટે પાણી પુરૂ પાડવામાં આવે છે. શિયાળુ સીઝનમાં પૂરતું પાણી મળ્યા પછી હવે
અત્યારની સ્થિતિએ કડાણા ડેમમાં ૭૬ ટકા પાણીનો જથ્થો સંગ્રહીત છે તે જોતાં ઉનાળુ ખેતી
માટે સુજલામ કેનાલ મારફતે સાબરકાંઠા,
અરવલ્લી જિલ્લાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકે છે.
સુજલામ કેનાલમાં ૪૮૦ ક્યુસેક પાણી છોડાશે
ડેમ સાઈટના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉનાળુ ખેતી સીઝન શરૂ થઈ
છે ત્યારે સુજલામ કેનાલમાં સાબરકાંઠા,
અરવલ્લી જિલ્લામાંથી પસાર થાય છે તેમાં ૪૮૦ ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેથી બાયડ, ધનસુરા, તલોદ, પ્રાંતિજ સહિતના તાલુકાના
ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે.




