વડોદરા: 42 ગામો ની પાણી પુરવઠા યોજનાની પાઇપ લાઇનમાં ભંગાણ, 20 ફૂટ ઊંચો ફૂવારો ઉડ્યો

વડોદરા, તા. 22 જાન્યુઆરી 2022 શનિવાર
મહીસાગર નદીમાંથી આજૂબાજૂના 42 ગામો ને પીવાનું પાણી પૂરું પાડતી પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું હતું અને તેમાંથી 20 ફૂટ ઊંચે સુધી પાણીનો ફુવારો ઉડતો રહ્યો હતો.
વડોદરા શહેર અને આજુબાજુના ગામો અને ઉદ્યોગોને પાણી પહોંચાડવા માટે મહીસાગર નદીમાં ફ્રેન્ચવેલ કરવામાં આવ્યા છે જેમાંથી પાણી મેળવીને લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.
મહિસાગર નદીની આસપાસના 42 ગામોને પણ પૂરતું પાણી મળી રહે તેને ધ્યાનમાં રાખીને થોડા વર્ષો પહેલા રાજ્ય સરકારે 42 ગામની પાણી પુરવઠા યોજના અમલમાં મૂકી હતી અને મહીસાગર માં થી પાણીનો જથ્થો મેળવવા પાઇપલાઇન નાંખવામાં આવી હતી આ પાઇપલાઇનમાં આજે વહેલી સવારે અચાનક ભંગાણ પડતાં પાણીનો 20 ફૂટ ઊંચે સુધી ફૂવારો ઉડ્યો હતો.
42 ગામની પાણી પુરવઠા યોજના ની પાઈપ લાઈનમાં ભંગાણ પડવાને કારણે લાખો લિટર પાણી વેડફાયું હતું.




