Gujarat

રાજકોટની 4 પ્રાથમિક શાળાઓના 4 વિદ્યાર્થી અને 1 શિક્ષકને કોરોના

By GS Team
18 Dec 20212 mins read
This article was originally published on 18 Dec 2021
રાજકોટની 4  પ્રાથમિક શાળાઓના  4 વિદ્યાર્થી અને 1 શિક્ષકને કોરોના

એસ.એન.કે., નચિકેતા, ધુલેશીયા, નિર્મલા  કોન્વેન્ટ સહિત : 3 સ્કૂલો એક સપ્તાહ માટે ડી.ઈ.ઓ.એ બંધ કરાવી, વિદ્યાર્થીઓ શિક્ષકોના ટેસ્ટ કરાવાયા

રાજકોટ, : રાજકોટમાં એક માસથી કોરોનાથી માથુ ઉંચક્યું છે અને રોજ કેસો સતત વધતા જાય છે ત્યારે આ મહામારી હવે કોન્વેન્ટ સ્કૂલોમાં પહોંચી ગઈ છે. આજે અંગ્રેજી માધ્યમનું કહેવાતું હાઈફાઈ શિક્ષણ આપતી એસ.એન.કે. તથા  નચિકેતા, ધુલેશીયા અને નિર્મલા કોન્વેન્ટ એ ચાર સ્કૂલોમાં ભણતા ચાર માસુમ વિદ્યાર્થીઓનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા તંત્રમાં દોડધામ થઈ હતી અને વાલીઓમાં ચિંતાનું મોજુ પ્રસર્યું છે. 

 જ્યાં વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા હતા તે એસ.એન.કે., ધુલેશીયા અને નચિકેતા એ ત્રણ સ્કૂલોને સાવચેતીના પગલા રૂપે બંધ કરાવાયાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું અને ઉમેર્યું કે સ્કૂલો ખોલવાની મંજુરી અપાઈ ત્યારે જ એસ.ઓ.પી.નું પાલન કરવાનું તમામને કહેવાયું છે અને તે તમામની જવાબદારી છે. 

મનપા સૂત્રો અનુસાર (1) યુનિ.રોડ પર આવેલ  એસ.એન.કે.સ્કૂલમાં ભણતી અને પંચવટી વિસ્તારમાં રહેતી 15  વર્ષની  બાળા ગઈકાલે પોઝીટીવ આવેલ છે. તે આગલા દિવસે તા. 15ના પરીક્ષા આપવા માટે સ્કૂલે ગઈ હતી.  તેની સાથે અભ્યાસ કરતા 46 વિદ્યાર્થીઓ તથા ક્લાસટીચરના આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાયા છે અને જેમણે સિમ્પટમ્સ નજરે પડયા તે અંગે લેબોરેટરીને જાણ કરાઈ છે. (2) આ સ્કૂલમાં ભણતી આ વિદ્યાર્થીનીની બહેન પણ કોરોનાથી સંક્રમિત થયેલ છે. (3) નચિકેતા સ્કૂલમાં ધો.5માં અભ્યાસ કરતી  અને જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળાનો બે દિવસ પહેલા તા. 15ના કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે અને તેના મમ્મી અને પપ્પા  બન્નેને પણ કોરોના થયેલ છે. આ વિદ્યાર્થીનીના બન્ને ક્લાસના 112 વિદ્યાર્થીઓ, શિક્ષકોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરાઈ હતી. (4) નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં ધો. 3માં ભણતી  9 વર્ષની એક બાળા કોરોના પોઝીટીવ જાહેર થયેલ છે. વર્ધમાનનગરમાં રહેતી આ બાળાના માતા-પિતા પણ પોઝીટીવ છે. (5) ધુલેશિયા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવતા એક શિક્ષક કોરોનાથી સંક્રમિત થયેલ છે. 

સરકારે મહિના પહેલા કોરોના હળવો થતા અગાઉ ધો.૫ પછીની અને હવે પ્રાથમિક શાળાઓ પણ ખુલ્લી કરી છે. પરંતુ, શાળાઓ ખોલવા માટે અપાયેલી માર્ગદર્શિકા કાગળ પર જ રહેતા અને નિયમપાલનની જવાબદારી માટે એકબીજા તંત્રોએ ખો આપતા કોરોના બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.ડી.ઈ.ઓ., પોલીસ, મહાપાલિકા, કલેક્ટર એ ચારેય તંત્રોએ સંકલન સાધીને સ્કૂલોમાં ભણતા બાળકો આ મહામારીના ખપ્પરમાં ન હોમાય તે માટે સ્કૂલોમાં નિયમ પાલન કરાવવાની વાલીઓમાં માંગ ઉઠી છે. મોંઘુદાટ શિક્ષણ આપતી સ્કૂલોમાં ડેંગ્યુથી માંડીને કોરોના સહિત રોગોના નિવારણ મુદ્દે દાખવાતી બેદરકારી અગાઉ પણ ખુલ્લી પડી છે.