- ખેડા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્
- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા : જે-તે વિસ્તારનીપોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી
નડિયાદ : નડિયાદની કમળા ચોકડી અને સિહુંજ ચોકડી નજીક સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક સહિત ચાર લોકોને ઈજા થઇ હતી. આ બનાવ અંગે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ સયાન પાર્કમાં રહેતા મોહમ્મદ હકીમ અજમલ સિદ્દીકી તેમના સાળા મોહમ્મદ સલીમ તૈલીની મોટરસાયકલ પર બેસી કમળા ચોકડીથી ઘર તરફ જતા હતા. આ દરમિયાન મીલ રોડ ઉપર બમ્પ ન દેખાતા મોટરસાયકલ સ્લીપ ખાઈ ગયું હતું. જેથી બાઇક ચાલક મોહમ્મદ સલીમ તેમજ પાછળ બેઠેલ મોહમ્મદ હકીમ સીદ્દીકીને ઇજા થઈ હતી. જેથી બંનેને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મો.હકીમ અજમલ સિદ્દીકીની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં નડિયાદ તાલુકાના રહેતા સલુન તળપદમાં રહેતા કેતનભાઇ મણીભાઈ ઠાકોર અને રાજેશભાઈ બચુભાઈ ચૌહાણ મોટરસાયકલ પર અકલાચા જઈ રહ્યા હતા. ત્યારે સિંહુજ ચોકડી રોડ ક્રોસ કરતા હતા ત્યારે મહુધા તરફ જતા ફોરવીલ ગાડીએ ટક્કર મારતા બાઈક સવાર કેતનભાઇ ઠાકોર તેમજ રાજેશભાઈ ચૌહાણને ઇજા થઈ હતી. જેથી બંનેને તુરંત જ ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વિમલભાઈ હર્ષદભાઈ ઠાકોરની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


