Get The App

ભાવનગર મંડળની 3 જોડી સ્પેશિયલ ટ્રેન નિયમિત દોડશે

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર મંડળની 3 જોડી સ્પેશિયલ ટ્રેન નિયમિત દોડશે 1 - image

તા.૧-૬ અને તા.૨-૬થી નિયમિત સંચાલન હાથ ધરવા નિર્ણય

ભાવનગર-ધોળા-ભાવનગર, ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર અને બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ ટ્રેનનું ભાડું ઘટશે

ભાવનગરભાવનગર મંડળની ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેન આગામી ૧લી અને બીજી જૂનથી નિયમિત રીતે દોડાવવા માટે રેલવે બોર્ડે નિર્ણય કર્યો છે. સ્પેશિયલમાંથી મુસાફર ટ્રેનો થતાં યાત્રિકોને ટિકિટ ભાડામાં ઘટાડાનો પણ લાભ મળી રહેશે.

યાત્રિકોની માંગ, ટ્રેનોને મળી રહેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખી રેલવે બોર્ડે ત્રણ જોડી ટ્રેનનું નિયમિત સંચાલન કરવા આદેશ કર્યો છે. ભાવનગર ડીઆરએમ દિનેશ વર્માના પ્રયાસોથી હવે આગામી ૧લી જૂનથી ધોળા-ભાવનગર-ધોળા દૈનિક  સ્પેશિયલ ટ્રેન હવેથી દૈનિક પેસેન્જર ટ્રેન તરીકે દોડશે. આ ટ્રેન ધોળાથી ૧૧અ૩૦ કલાકે ઉપડી ૧૨-૫૦ કલાકે ભાવનગર પહોંચશે. ભાવનગર ટર્મિનસથી બપોરે ૧-૧૫ કલાકે ઉપડી ૨-૩૫ કલાકે ધોળા પહોંચશે. બન્ને દિશામાં સણોસરા, બજુડ, સોનગઢ, સિહોર, ખોડિયાર મંદિર, વરતેજ અને ભાવનગર પરા સ્ટેશન પર ટ્રેન રોકાશે.

તેવી જ રીતે ગાંધીગ્રામ-ભાવનગર-ગાંધીગ્રામ ટ્રેન પર  દૈનિક પેસેન્જર તરીકે ચાલશે. ગાંધીગ્રામથી સવારે ૬-૩૫ કલાકે પ્રસ્થાન કરી ૧૧-૨૫ કલાકે ભાવનગર પહોંચશે. આ ફેરફાર બીજી જૂનથી અમલમાં આવશે. તેમજ ૧લી જૂનથી ભાવનગર ટર્મિનસથી સાંજે ૫ કલાકે ટ્રેન ઉપરડી રાત્રે ૯-૫૫ કલાકે ગાંધીગ્રામ પહોંચશે. બન્ને દિશામાં વસ્ત્રાપુર, સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ટ્રેન રોકાશે.

ગાંધીગ્રામ-બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન ૧લી જૂનથી દૈનિક પેસેન્જર ટ્રેન તરીકે દોડશે. ગાંધીગ્રામથી સવારે ૯-૧૫ કલાકે ઉપડી બપોરે ૧-૩૦ કલાકે બોટાદ પહોંચશે. બોટાદથી બપોરે ૨-૫ કલાકે ઉપડી સાંજે ૬-૦૫ કલાકે ગાંધીગ્રામ પહોંચશે. બન્ને દિશામાં વસ્ત્રાપુર, સરખેજ, મોરૈયા, બાવળા, ધોળકા, ગોધનેશ્વર, કોઠ ગાંગડ, અરણેજ, લોથલ ભુરખી, લોલિયાળ, હડાળા ભાલ, ધોળી ભાલ, રાયકા, ધંધુકા, તગડી, ભીમનાથ, ચંદરવા, જાળિયા રોડ, સાળંગપુર રોડ અને અળવ સ્ટેશન પર ટ્રેન ઉભી રહેશે. આ ટ્રેનો નિયમિત ચલાવવાના નિર્યણથી યાત્રિકોને પૂર્વ આયોજનમાં સરળતા અને ભાડામાં ઘટાડાથી સસ્તી મુસાફરીનો લાભ મળશે તેમ વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું.