Get The App

ભાવનગર યાર્ડમાં ભાવની વધ-ઘટ વચ્ચે 10 દિવસમાં ડુંગળીની 3.35 લાખ ગુણી ઉતરી

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર યાર્ડમાં ભાવની વધ-ઘટ વચ્ચે 10 દિવસમાં ડુંગળીની 3.35 લાખ ગુણી ઉતરી 1 - image

- રવિ શિયાળુ સિઝનમાં 26,300 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર

- 82-315 ના ભાવ વખતે 57,285 ગુણીની આવક સામે હાલ રૂા. 60-266 થતા આવક ઘટી 35462 ગુણી પર પહોંચી

ભાવનગર : ભાવનગર જિલ્લામાં વર્ષ ૨૫-૨૬ અંતર્ગત રવિ શિયાળુ સિઝનમાં કુલ ૨૬,૩૭૨ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે અને ઉત્પાદન પણ મબલખ થવા પામ્યું છે ત્યારે ૧૦ દિવસ પૂર્વે ડુંગળીના ૨૦ કિલોના ૮૨ થી ૩૫૧ના ભાવ બોલાતા ખેડૂતો દ્વારા વેચાણ માટે ભાવનગર યાર્ડમાં ૫૭,૨૮૫ ગુણી ઠલવાઇ પરંતુ ભાવ ગગડતા હાલ ૩૫,૪૬૨ ગુણી આવક થઇ છે. ૧૦ દિવસમાં કુલ ૩,૩૫,૫૭૦ ગુણીની આવક નોંધાઇ છે.

ભાવનગર જિલ્લામાં ડુંગળીનું ઉત્પાદન વ્યાપક પ્રમાણમાં થાય છે જેમાં પણ રવિ શિયાળુ પાકની ડુંગળી વર્ષભર ચાલે તે પ્રમાણે રાખવામાં આવે છે. ખાસ કરીને મહુવા-તળાજા પંથકમાં ડુંગળીનું વાવેતર સવિશેષ હોય છે. ચોમાસાનું વાવેતર સિઝન પુરતુ હોય જ્યારે શિયાળાનું વાવેતર લાંબા ગાળાને ધ્યાનમાં રાખી કરાતું હોય છે જેની વાવણી નવે-ડિસે.ના વચ્ચેના સમયગાળામાં કરાતું હોય છે. વર્ષ ૨૫-૨૬માં ખરીફ પાકમાં ૧૬૪૨ હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું. જ્યારે રવિ શિયાળુ સીઝનમાં ૨૬,૩૭૨ હેક્ટરમાં આ વાવેતર નોંધાવા પામ્યું છે જેની ઉપજ હાલ ઉતરી રહી છે અને મેડામાં સંગ્રહીત પણ કરવામાં આવી રહી છે. આમ મહામહેનતે ઉતારેલ ડુંગળી પાકના પણ પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતા નથી અને જે ભાવ ૧૦ દિવસ પૂર્વે ભાવનગર યાર્ડમાં ૮૨ થી ૩૧૫ બોલાતા હતા તે આજે ૬૦ થી ૨૬૬ એ પહોંચ્યા છે. જો કે, ડુંગળી પાકી જતા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પણ ઉતારો વધ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં ૩,૩૫,૫૦૦ ગુણીની નોંધપાત્ર આવક જોવા મળે છે જેના કારણે ઘણીવાર માલનો ભરાવો થવાની સમસ્યા પણ ઉભી થવા પામી હતી. જ્યારે ગઇ તા.૨૪ જાન્યુ.ના રોજ ઉંચો ભાવ મળતા એક દિવસની આવક ૫૭,૨૮૫ ગુણીની હતી. જ્યારે હાલ ભાવ ઓછો મળતા આવક ૩૫૪૬૨ ગુણીની થવા પામી છે. આમ રાજ્યના સીમાડા ઓળંગતી ભાવનગરની ડુંગળીના યોગ્ય ભાવ નક્કી થાય તો સંગ્રહ કરવા કરતા વહેલા પૈસા છુટા કરવા વેચાણ અર્થે યાર્ડમાં આવક પણ વધવાની સંભાવના છે.

રવિ ડુંગળીનું વાવેતર

તાલુકો

હેક્ટર

ભાવનગર

૨૪૦૭

ગારિયાધાર

૭૯

ઘોઘા

૨૮૨૦

જેસર

૩૧૩૧

મહુવા

૬૦૦૬

પાલિતાણા

૧૦૯૫

સિહોર

૧૦૨૭

તળાજા

૯૮૦૦

ઉમરાળા

વલ્લભીપુર