Get The App

અમરેલીના મિતિયાળા પાસે 3.3નો ધરતીકંપ, 5 કલાકમાં 8 આંચકા

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
અમરેલીના મિતિયાળા પાસે 3.3નો ધરતીકંપ, 5 કલાકમાં 8 આંચકા 1 - image

જમીનમાં 9-10 KM ઉંડે એક જ વિસ્તારમાં ભૂકંપીય ગતિવિધિ  : 8 દિવસ પૂવે 2 ભૂકંપો આવ્યા ત્યાં જ કેન્દ્રબિંદુ : ગ્રામ્ય પંથકમાં આંચકા સાથે ભયભીત કરતા અવાજો

રાજકોટ, : સૌરાષ્ટ્રના અમરેલીથી 42 કિ.મી. દક્ષિણ-પૂર્વ દિશાએ એક જ સ્થળે માત્ર 8 દિવસમાં ફરી આજે પરોઢીયે 3.58  વાગ્યે 3.3 મેગ્નિટયુડનો તીવ્ર ભૂકંપથી વિસ્તારમાં વધુ એક વાર ભયનું મોજુ પ્રસર્યું હતું. સવારે માત્ર 5 કલાકના સમયમાં એક જ કેન્દ્રબિંદુન આસપાસ ઉપરાઉપરી 8 ધરતીકંપનો નોંધાયા છે. 

આશ્ચર્યની વાત એ છે કે મિતિયાળા અભ્યારણ્ય પાસે  સકરપરા અને વાંકિયા ગામ વચ્ચે 21.119 અક્ષાંસ અને 71.266 રેખાંશ ઉપર જમીનમાં 9.6 કિ.મી. ઉંડાઈએ ભૂકંપ ઉદ્ભવ્યો તે જ કેન્દ્રબિંદુએ રેખાંશ( લોન્ગિટયુડ)માં નગણ્ય ફેરફાર સાથે એ જ સ્થળે ગત તા. 30 માર્ચે  6.1 કિ.મી. ઉંડાઈએ 2.6ની તીવ્રતાનો અને તા. 29 માર્ચે 11.6 કિ.મી. ઉંડાઈએ 3.1ની તીવ્રતાનો ભૂકંપ ઉદ્ભવ્યો હતો. તેના પહેલા તા. 22 માર્ચે પણ ઉપરોક્ત સ્થળની નજીકમાં 8.6 કિ.મી. ઉંડાઈએ 2.9નો ધરતીકંપ નોંધાયો છે. આમ, ભૂકંપીય ગતિવિધિ એક જ કેન્દ્રની આસપાસ થઈ રહી છે.

અમરેલીથી વિશેષ અહેવાલ મૂજબ આજે સવારે ખાંભા અને સાવરકુંડલા પંથકમાં ઉપરાઉપરી 8 ભૂકંપો આવ્યા હતા જેનાથી ખાંભા ગીર, નાના વિસાવદર, ઈંગોરાળા, નાની ધારી, અનિડા સહિત અનેક ગામોમાં લોકોએ ધરતીમાં તીવ્ર ધ્રુજારી અનુભવી હતી અને ભયનો માહૌલ જોવા મળ્યો હતો. ધરતી કંપવાની સાથે ભૂગર્ભમાંથી અવાજો પણ આવતા હતા. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અગાઉ સિસ્મોલોજી કેન્દ્ર દ્વારા ઉપરાઉપરી આંચકા અંગે સર્વે પણ કરાયો છે.