Gujarat

મસીતીયાની કોરોના સંક્રમિત મહિલાના સંપર્કમાં આવેલા 19 શખ્સો ક્વોરન્ટાઇન

By GS Team
8 May 20202 mins read
This article was originally published on 8 May 2020
મસીતીયાની કોરોના સંક્રમિત મહિલાના સંપર્કમાં આવેલા 19 શખ્સો ક્વોરન્ટાઇન

જામનગર, તા.08 મે 2020, શુક્રવાર

જામનગરમાં નજીક મસીતીયામાં રહેતી એક યુવતી કે જે ખંભાળીયા ના નાના આંબલા ગામે પોતાના પિતાના ઘેરથી  મસિતિયા આવી હતી.અને મસીતીયા માં તેણીનો કોરોનાવાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને હાલ જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અને તેના સંપર્કમાં આવેલા ૧૯ વ્યક્તિઓ ના સેમ્પલો લેવાયા છે. અને તમામને ક્વારેન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદથી મંજૂરી વગર જામનગરના ઘાંચીવાડમાં આવેલી કોરોના પોઝીટીવ મહિલા સામે ગુન્હો નોંધાયો છે. 

મસીતીયા માં રહેતી શહેનાઝ નુરમામદ ખફી નામની ૨૮ વર્ષીય મહિલા કે જે ખંભાળિયાના નાના આંબલા ગામથી પોતાના પિતાના રીક્ષા છકડામાં બેસીને મસીતીયા આવી હતી.  જે કોરોના વાયરસ થી સંક્રમિત હતી, અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી પોલીસ દ્વારા જાતે ફરિયાદી બની શહેનાઝબેન ખફી અને તેના પિતા હુસેનભાઇ સામે ગુનો નોંધાયા પછી હાલ શહેનાઝબેનને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવી છે.  

આ ઉપરાંત જામનગર તાલુકાના મસીતીયા ધાર વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની ટુકડીએ સર્વેની કામગીરી હાથ ધરી હતી. જેમાં શહેનાઝબેન અલગ અલગ ૧૯ વ્યક્તિઓના સંપર્કમાં આવી હોવાથી તે તમામ ૧૯ લોકોને શોધવામાં આવ્યા છે. અને તેઓને હોમ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. સાથો સાથ તમામ ના સેમ્પલો પણ લેવાયા છે.

જામનગરમાં ઘાચીવાડ  ઇબાનો ચોક વિસ્તારમાં રહેતી જાહિદાબેન અબ્દુલકાદર ઘાંચી (ઉંમર વર્ષ ૪૨) કે.જે આજથી ત્રણેક  દિવસ પહેલા અમદાવાદ થી જામનગર આવી ત્યારે કોઈપણ પ્રકારની નજીકની સરકારી હોસ્પિટલ કે કોરોના કંટ્રોલરૂમમાં જાણ કરી ન હતી. અને પોતે કોરોનાથી સંક્રમિત હોવાના કારણે બીજા લોકોને કોરોનાવાયરસ ફેલાય તેવી સંભાવના હોવા છતાં પણ પોતાની બીમારી ને છુપાવી હતી.  

તેણીના રિપોર્ટ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. અને હાલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેણે પોતાની બીમારી છુપાવી હોવાથી સરકાર પક્ષે સીટી-એ ડિવિઝનના પીએસઆઇ એમ.વી. મોઢવાડિયાએ જાતે ફરિયાદી બની તેની સામે ગુનો નોંધ્યો છે.