Get The App

કોંગ્રેસના 18 ઉમેદવારોને ભાજપથી બચાવવા અજ્ઞાાત સ્થળે લઈ જવાયા

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
કોંગ્રેસના 18 ઉમેદવારોને ભાજપથી બચાવવા અજ્ઞાાત સ્થળે લઈ જવાયા 1 - image

ભાજપ સામ-દામ-દંડ-ભેદથી  ફોર્મ પાછા ખેંચાવે તેવો ભય : રાજકોટમાં હાર ભાળેલા ભાજપે ફોર્મ પાછા ખેંચાવવા પ્રયાસો કરતા આ પગલુ લીધું, : તા. 15ના બહાર લાવીશું- રાજદીપસિંહ 

 રાજકોટ, : રાજકોટમાં પ્રથમવાર કોંગ્રેસે ભાજપ કરતા વહેલી યાદી બહાર પાડી, કોઈનું ફોર્મ રદ થયું નથી ત્યારે કોંગ્રેસના રાજકારણમાં નવોદિત ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવીને ચૂંટણી બીનહરીફ કરવાના કાવાદાવા શરુ થતા કોંગ્રેસના ૧૮થી વધુ ઉમેદવારોને ભાજપના કોઈ નેતા સંપર્ક ન કરી શકે તે રીતે અજ્ઞાાત સ્થળે લઈ જવાયા છે.

આ અંગે શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ વખતે શાસકપક્ષ સામે લોકોમાં રોષ અને આંતરિક વિખવાદોથી ભાજપને જીતવું અઘરું લાગતા તેને ફાયદો થાય તે રીતે કેટલાક તત્વોએ અમારા લોપ્રોફાઈલ, શાંતિપ્રિય સભ્યોનો સંપર્ક સાધીને ફોર્મ પાછુ ખેંચવા  ધમકાવવા અને લલચાવવા પ્રયાસો કર્યાના ચાર-પાંચ કિસ્સા અમારે ધ્યાનમાં આવ્યા છે.   આ અન્વયે અમે 18 જેટલા ઉમેદવારોને તા. 15ના ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખના અંતિમ સમય સુધી ગુપ્ત સ્થળે સાચવવાનો નિર્ણય લીધો છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું, આવી વાત થાય છે પરંતુ, ભાજપને આવું કરવાનો સમય જ નથી. 

આ ઉપરાંત રાજકોટમાં વોર્ડ નં. 3,7, 15 સહિતના મોટાભાગના વોર્ડમાં જે સ્થાનિક નેતાઓ સક્ષમ છે તેમને તેમના વોર્ડની પેનલમાં કોઈ પણ ઉમેદવારને ડરાવવા કે લલચાવવા પ્રયાસ ન થાય તે માટે પેનલને અંકબંધ રાખવા જવાબદારી અપાઈ છે. રાજકોટ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે અમારી લડત એ ભાજપ નામના શાસકપક્ષ સામે નથી પરંતુ, અંગ્રેજો જેવા પક્ષપાતી શાસકો સામે છે, તંત્ર પણ અમને કેટલું રક્ષણ,ન્યાય,સહયોગ આપે તે પણ સવાલ છે.  પ્રાપ્ત માહિતી અનુસાર કોગ્રેસના ઉમેદવારને ધમકાવવાના પ્રયાસ અન્વયે કોંગ્રેસના સોએક કાર્યકરોનું ટોળુ ગઈકાલે રૈયા વિસ્તારમાં ધસી જઈને સામો જવાબ આપવા પ્રયાસ કર્યો હતો.