Gujarat

જામનગરમાં કોરોના સંક્રમણને રોકવા માટે દોડી રહેલી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના એક ડઝન અધિકારી-કર્મચારી કોરોના સંક્રમિત થયા

By GS Team
20 Jan 20223 mins read
This article was originally published on 20 Jan 2022
જામનગરમાં કોરોના સંક્રમણને રોકવા માટે દોડી રહેલી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના એક ડઝન અધિકારી-કર્મચારી કોરોના સંક્રમિત થયા

- એસ્ટેટ શાખા-અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઓછા સ્ટાફ સાથે પણ ગુજરી બજાર- શાક માર્કેટ માં ટેસ્ટિંગની કાર્યવાહી ચાલુ રખાઈ

- જામ્યુકોની ટીમ દ્વારા ત્રણ સપ્તાહ દરમિયાન શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અંગેના 411કેસ કરાયા 2.44 લાખનો દંડ વસુલાયો

જામનગર, તા. 20

જામનગર શહેરમાં કોરોનાની ત્રીજી લહેર પ્રસરી ચૂકી છે, અને દિનપ્રતિદિન કોરોનાના કેસ વધતા જતા હોવાથી મહાનગર પાલિકાની આરોગ્ય શાખાની ટુકડી દ્વારા શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં કોરોના ટેસ્ટ ની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી છે. જેના માટે બનાવેલી જુદીજુદી ટુકડીઓ પૈકીના 12થી વધુ અધિકારી-કર્મચારીઓ ખુદ કોરોના સંક્રમિત બની ગયા છે, અને હોમ આઇસોલેશનમાં મૂકી દેવાયા છે, ત્યારે ઓછા સ્ટાફથી પણ કોરોના સંબંધિત ટેસ્ટ તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન સહિતની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.

જામનગર શહેરમાં છેલ્લા ત્રણ સપ્તાહથી સોશિયલ ડિસ્ટનસનું પાલન કરવા માટે અને માસ્ક અંગેના કેસ કરવામાં આવી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 411 કેસ કરવામાં આવ્યા છે, અને તેઓ પાસેથી રૂપિયા 2,44,650ના દંડની વસૂલાત કરી લેવામાં આવી છે. સાથોસાથ તમામ ભીડભાડ વાળા વિસ્તારોમાં અને શાક માર્કેટમાં કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી પણ ચાલુ રાખવામાં આવી છે.

જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ ખૂબ જ વધી ગયું હોવાથી જામનગર મહાનગરપાલિકાની 6 કવિક રિસ્પોન્સ ટીમ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ નું પાલન થાય તે માટે લોકો માસ્ક પહેર્યા વિના બહાર ના નીકળે તે માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. અને કુલ ૨૪થી વધુ કર્મચારીઓ કાર્યરત હતા, અને અધિકારીઓ દ્વારા તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું.

જે દરમિયાન છેલ્લા ચાર દિવસના સમયગાળા માં ઉપરોક્ત ટીમના સભ્યો તથા અધિકારીઓ સહિતના એક ડઝનથી વધુ કર્મચારીઓ કે જેઓ કોરોનાની ઝપટે ચડી ગયા છે, અને તમામને હોમ આઇસોલેશનમાં મૂકી દેવાયા છે. જોકે અધિકારીઓ દ્વારા પોતાના ઘરમાંથી મોબાઈલ મારફતે સમગ્ર કામગીરીનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ સ્ટાફ ઓછો થઈ ગયો હોવા છતાં પણ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરાવવા માટે તેમજ માસ્ક અંગેની દ્રાઈવ મહાનગરપાલિકા દ્વારા અવિરત ચાલુ રાખવામાં આવી છે.

આ ઉપરાંત કોરોના ના ટેસ્ટ કરવા માટેના જુદા જુદા ભીડભાડવાળા વિસ્તારો શાકમાર્કેટ, ગુજરી બજાર, તથા કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં પણ કોવિડ ટેસ્ટ ની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે, અને પ્રતિદિન બસ્સોથી અઢીસો ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

જામનગરના એસ.ટી ડેપો પર આજથી વધુ એક ધન્વંતરિ રથ ને દોડતો કરી દેવાયો છે, અને બસમાંથી ઉતરનારા તેમજ મુસાફરી કરવા માટે આવેલા પ્રવાસીઓના કોવિડ ટેસ્ટ કરીને તેઓને જરૂરી દવાઓ પણ ત્યાંથી જ આપવામાં આવી રહી છે.

જામનગર શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન જળવાયેલું રહે, તેમજ લોકો માસ્ક પહેર્યા વિના નીકળે નહીં તે માટે છેલ્લા ત્રણ અઠવાડિયાથી જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી 6 ટુકડીઓ દોડધામ કરી રહી છે, અને ત્રણ સપ્તાહ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનારા 270 લોકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે, અને તેઓ પાસેથી રૂપિયા 1,03,650નો દંડ વસૂલાયો છે. તે જ રીતે માસ્ક પહેર્યા વિના નીકળેલા 141 લોકો સામે પણ દંડકીય શસ્ત્ર ઉગામ્યું છે, અને તેઓ પાસેથી રૂપિયા 1,41,000 નો દંડ વસૂલાયો છે. સમગ્ર શહેરમાં 3 સપ્તાહ દરમિયાન કુલ 411 કેસ કરાયા છે, જ્યારે રૂપિયા 2,44,650ના દંડની વસુલાત કરાઇ છે. જે કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. જે તમામ કામગીરીનું મોનીટરીંગ એસ્ટેટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા કે જેઓ કોરોના સંક્રમિત થયા છે, અને તેઓ પોતાના ઘેરથી કામ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત એસ્ટેટ વિભાગના અધિકારી રાજભા જાડેજા, કે જેઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. પરંતુ આજે તેઓ ફરજ પર હાજર થઇ ગયા છે, અને સમગ્ર કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે.