Gujarat

અપૂરતા દસ્તાવેજોના કારણે 1000 જેટલા પ્રવેશ ફોર્મ નામંજૂર

By GS TEAM
27 Apr 20261 min read
અપૂરતા દસ્તાવેજોના કારણે 1000 જેટલા પ્રવેશ ફોર્મ નામંજૂર

વડોદરાઃ રાઈટ ટૂ એજ્યુકેશન એકટ હેઠળ શહેરની સ્કૂલોમાં ધો.૧માં પ્રવેશ માટે ચાલી રહેલી  પ્રક્રિયામાં ફોર્મ ભરવાની મુદત પૂરી થયા બાદ વડોદરામાં ૮૫૦૦ જેટલા ફોર્મ મંજૂર થયા છે અને ૧૦૦૦ જેટલા ફોર્મ અપૂરતા દસ્તાવેજોના કારણે નામંજૂર થયા છે.૨૫૦૦ જેટલા ફોર્મ અધૂરા હતા એટલે તેને કેન્સલ કરાયા છે.

મુખ્યત્વે વાલીઓએ એ જ પ્રકારની ભૂલો કરી છે જે ભૂતકાળમાં થતી આવી છે.કેટલાક વાલીઓએ ફોર્મ સાથે રજિસ્ટર્ડ ભાડા કરારની જગ્યાએ  નોટરાઈઝ્ડ ભાડા કરારની કોપી એટેચ કરી છે.આ જ રીતે આઉટ ઓફ સ્ટેટ જાતિનો દાખલો માન્ય નહીં હોવા છતા કેટલાક વાલીઓએ આ દાખલો રજૂ કર્યો છે.બીપીએલ કેટેગરીના પૂરાવા તરીકે યુસીડીની જગ્યાએ વાલીઓએ રેશનકાર્ડ રજૂ કર્યું છે.આ પણ ફોર્મ રદ થવા પાછળનું એક મહત્વનું કારણ છે.કેટલાક વાલીઓએ દસ્તાવેજોની ઝાંખી ફોટોકોપી એટેચ કરી હોવાથી ફોર્મ રદ કરાયા છે.જોકે આવા વાલીઓને માન્ય દસ્તાવેજો રજૂ કરવા માટે તા.૨૭ થી ૨૯ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

એ પછી તા.૪ મેના રોજ પ્રવેશની પહેલી યાદી પ્રસિધ્ધ થશે.જેની જાણકારી વાલીઓને એસએમએસ થકી મળશે.જે સ્કૂલ ફાળવવામાં આવી હશે ત્યાં પ્રવેશ લેવા માટે એક સપ્તાહનો સમય ફાળવવામાં આવશે. વડોદરામાં ૩૨૦ જેટલી સ્કૂલોમાં આરટીઈ હેઠળ પ્રવેશ માટે આ વખતે ૪૫૦૦ જેટલી બેઠકો ઉપલબ્ધ છે.