દિગ્ગજ અભિનેતા અનંત નાગને મળશે દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Veteran Actor Anant Nag Conferred Dadasaheb Phalke Award | ભારતીય સિનેમા જગતના સર્વોચ્ચ અને અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા 'દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ'ની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. કન્નડ સિનેમાના દિગ્ગજ કલાકાર અને પીઢ અભિનેતા અનંત નાગને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમના બહુમૂલ્ય પ્રદાન અને પેઢીઓને પ્રેરણા આપતી ભવ્ય સિનેમેટિક સફર બદલ આ સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવશે.
PIB દ્વારા બુધવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ સિલેક્શન કમિટીની ભલામણના આધારે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.
ગુજરાતના કેવડિયા ખાતે યોજાશે 72મો નેશનલ ફિલ્મ ઍવૉર્ડ સમારોહ
આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અનંત નાગને 22 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતના કેવડિયા ખાતે યોજાનારા 72મા નેશનલ ફિલ્મ ઍવૉર્ડ્સ સમારોહ દરમિયાન ભવ્ય રીતે એનાયત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન
અનંત નાગને આ સર્વોચ્ચ સન્માન મળવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વિશેષ અભિનંદન પાઠવતાં લખ્યું હતું કે, અનંત નાગજીને દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનિત થવા બદલ હાર્દિક અભિનંદન. છેલ્લા ઘણા દાયકાઓથી તેમના સહજ અભિનય, અસાધારણ વૈવિધ્ય અને તેજસ્વી કલાકારીએ ભારતીય સિનેમા, ખાસ કરીને કન્નડ ફિલ્મ ઉદ્યોગ પર ઊંડી છાપ છોડી છે. તેમણે ભજવેલા દરેક પાત્રમાં અદ્ભૂત ઊંડાણ અને પ્રમાણિકતા લાવી આપી છે. એક સાચા પ્રતિષ્ઠિત કલાકાર માટે આ ખરેખર સર્વોચ્ચ અને યોગ્ય સન્માન છે.
300થી વધુ ફિલ્મો અને 'માલગુડી ડેઝ'ની લોકપ્રિય સફર
4 સપ્ટેમ્બર 1948ના રોજ જન્મેલા અનંત નાગરકટ્ટે (અનંત નાગ) કન્નડ સિનેમાના સૌથી આદરણીય નામોમાં મોખરે છે. તેમણે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં 250થી વધુ કન્નડ ફિલ્મો સામેલ છે. આ ઉપરાંત તેમણે હિન્દી, તેલુગુ, તમિલ, મરાઠી, મલયાલમ અને અંગ્રેજી ભાષાની ફિલ્મોમાં પણ પ્રભાવશાળી અભિનય કર્યો છે. ફિલ્મો સિવાય તેઓ નાના પડદા પર પણ ખૂબ જાણીતા છે. દૂરદર્શનની પ્રખ્યાત અને લોકપ્રિય સિરિયલ 'માલગુડી ડેઝ'(આર. કે. નારાયણની વાર્તાઓ પર આધારિત)માં તેમણે ભજવેલા પાત્રો આજે પણ દર્શકોના માનસપટ પર અંકિત છે.
પાંચ સ્ટેટ ઍવૉર્ડ્સ અને પદ્મભૂષણથી સન્માનિત
અનંત નાગને સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ અગાઉ 5 વખત 'કર્ણાટક સ્ટેટ ફિલ્મ ઍવૉર્ડ' પ્રાપ્ત થયેલા છે. ભારત સરકારે વર્ષ 2025માં તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મભૂષણ'થી પણ નવાજ્યા હતા.




