Entertainment

'સોનમ ભાઈ કંઈક ખાઈ લો, હવે તો PMએ પણ ટ્વિટ કરી દીધું...', સલમાન ખાનની વિદ્યાર્થી આંદોલન ખતમ કરવા અપીલ

By GS Team
23 Jul 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને NEET પેપર લીક વિવાદના વિદ્યાર્થી આંદોલન પર નિવેદન આપ્યું છે. તેમણે વિદ્યાર્થીઓને ઘરે પરત ફરવા અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને ભૂખ હડતાળ સમાપ્ત કરવા અપીલ કરી છે. સલમાને કહ્યું કે, વડાપ્રધાનના નિવેદન બાદ પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. તેમણે વિદ્યાર્થીઓને ચિંતા ન કરવા અને માતા-પિતાને પરેશાન ન કરવા જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

'સોનમ ભાઈ કંઈક ખાઈ લો, હવે તો PMએ પણ ટ્વિટ કરી દીધું...', સલમાન ખાનની વિદ્યાર્થી આંદોલન ખતમ કરવા અપીલ

Salman Khan On Delhi Student Protest And Sonam Wangchuk : નીટ પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સતત પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. પહેલા વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ આંદોલનની પ્રશંસા કર્યા પછી હવે તેમણે એક નવી પોસ્ટ શેર કરીને વિદ્યાર્થીઓને ઘરે પાછા ફરવાની અપીલ કરી છે. આ સાથે જ તેમણે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને પણ પોતાની ભૂખ હડતાળ પૂરી કરવા માટે વિનંતી કરી છે.

સલમાન ખાને આંદોલન પૂરું કરવા કરી અપીલ

સલમાન ખાને પોતાના તાજા પોસ્ટમાં લખ્યું કે, વિદ્યાર્થીઓ દેશની સૌથી મોટી પ્રાથમિકતા છે, પછી તે શિક્ષણ હોય કે સુરક્ષા. તેમણે કહ્યું કે હવે વિદ્યાર્થીઓએ વધુ ચિંતા કરવાની જરૂર નથી અને પોતાના માતા-પિતાને હેરાન કરવાની પણ જરૂર નથી. સલમાને વડાપ્રધાનના તાજેતરના નિવેદનનો ઉલ્લેખ કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે પેપર લીકના જવાબદારો સામે કડક કાર્યવાહી થશે. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, 'હવે તો માનનીય વડાપ્રધાનજીએ પણ ટ્વીટ કરી દીધું છે, મને પૂરો વિશ્વાસ છે કે પેપર લીક કરનારાઓ સામે સખત એક્શન ચોક્કસ લેવાશે. પ્લીઝ હવે તમે તમારા ઘરે અને તમારા માતા-પિતા પાસે પાછા ફરી જાવ.'

સોનમ વાંગચુક માટે સલમાન ખાનનો ખાસ સંદેશ

સલમાને પોતાના પોસ્ટમાં સોનમ વાંગચુકને પણ ખાસ સંદેશ આપ્યો હતો. તેમણે લખ્યું કે, 'સોનમ, હવે બહુ થયું ભાઈ. આને આગળ ન વધારો. જો ભવિષ્યમાં જરૂર પડે તો તે સમયે લડી લેજો, પણ અત્યારે કંઈક ખાઈ લો. ચાહો તો હું મારા ઘરેથી ખાવાનું મોકલી આપું છું.' સલમાનનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

એક જ દિવસમાં સલમાનના બદલાયા સૂર

જોકે સલમાનની આ અપીલને વિદ્યાર્થીઓના પક્ષમાં ઓછી અને સરકારના પક્ષમાં વધારે કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 જ દિવસમાં સલમાનના સૂર બદલાઈ ગયા છે અને તેઓ હવે આંદોલન પૂરું કરવાની વાત કરી રહ્યા છે.

અગાઉ આંદોલનને ગણાવ્યું હતું જરૂરી

સલમાન ખાને આ પહેલા વિદ્યાર્થી આંદોલનને 'સાહસી, શાંતિપૂર્ણ અને દેશના સારા ભવિષ્ય માટે જરૂરી' ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પેપર લીક અત્યંત ગંભીર બાબત છે અને તેમને આનંદ છે કે દેશના વિદ્યાર્થીઓ સારી શિક્ષણ વ્યવસ્થાની માંગને લઈને એકજૂથ થયા છે. સલમાને વિદ્યાર્થીઓના માતા-પિતાની પણ પ્રશંસા કરી હતી, જેમણે આ આંદોલનમાં પોતાના બાળકોનો સાથ આપ્યો હતો.

આંદોલનને રાજકીય રંગ ન આપવા કહી હતી વાત

તેમણે એવું પણ કહ્યું હતું કે આ આંદોલન સંપૂર્ણપણે વિદ્યાર્થીઓનું છે અને તેને રાજકીય રંગ આપવો જોઈએ નહીં. તેમના મતે આ લડાઈનો શ્રેય માત્ર વિદ્યાર્થીઓને જ મળવો જોઈએ અને સરકાર પણ શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે જરૂરી પગલાં ભરશે.

શિક્ષણ દેશનો સૌથી મોટો ટ્રેન્ડ બનવો જોઈએ

સલમાને પોતાના જૂના પોસ્ટમાં એવું પણ લખ્યું હતું કે ભારત એક એવો દેશ બનવો જોઈએ જ્યાં શિક્ષણ સૌથી મોટો ટ્રેન્ડ બને અને વિશ્વભરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે ભારત આવે.