- આમિર ખાને પોતે મધ્યસ્થી હોવાનું નકાર્યુું
- ડોન થ્રી છોડવા બદલ નુકસાનના 40 કરોડ આપવા રણવીરના ઈન્કારથી મડાગાંઠ
મુંબઈ : રણવીરે પોતે 'ડોન થ્રી' ફિલ્મ છોડી દેતાં ફરહાન અખ્તરને થયેલાં ૪૦ કરોડના નુકસાનનું વળતર ચૂકવવાનો ઈન્કાર કરી દેતાં બંને વચ્ચે થયેલી તકરાર સમગ્ર બોલિવુડમાં ચર્ચાનો વિષય બની છે. હવે બંને વચ્ચે સમાધાના પ્રયાસો થઈ રહ્યા છે. પ્રોડયૂસર ગિલ્ડ ઓફ ઈન્ડિયા દ્વારા આ મામલે મધ્યસ્થી થાય તેવી સંભાવના છે.
પ્રોડયૂસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાને હજુ આ તકરાર અંગે કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. પરંતુ, તે પણ સમાધાન કરાવવા માટે પ્રયત્નશીલ બની રહ્યું છે. બીજી તરફ એક ચર્ચા અનુસાર આમિરના ઘરે પણ ફરહાન અખ્તર તથા તેના પાર્ટનર રિતેશ સિધવાની સહિત કેટલાક બોલિવુડ નિર્માતાઓની બેઠક મળી હતી. તેમાં નિર્માતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે રણવીર જેવું જ વલણ અન્ય કલાકારો પણ અપનાવે અને નિર્માતાઓને આર્થિક નુકસાન થાય તે પહેલાં આ બાબતે કોઈ નીતિ નક્કી કરવી જરુરી છે. જોકે, બાદમાં આમિરે પોતે કોઈ મધ્યસ્થી કરવાનો હોવાનું નકાર્યું હતું. રણવીરે 'ડોન થ્રી' છોડી દેતાં ફરહાને પ્રિ પ્રોડક્શન સહિત અન્ય બાબતો પર ખર્ચેલા ૪૦ કરોડ રુપિયા એળે ગયા છે. તેણે રણવીરને આ નુકસાનનું વળતર ભરપાઈ કરી દેવા જણાવ્યુું છે પરંતુ રણવીર તે માટે ધરાર ઈન્કાર કરી રહ્યો છે.


