અક્ષય કુમારની 'કેસરી 2' ફિલ્મ પર વિવાદ: મેકર્સ વિરુદ્ધ FIR દાખલ, મમતા બેનરજીએ ભાજપ પર ઉઠાવ્યા સવાલ
Bollywood Film ‘Kesari Chapter 2’ Controversy : પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણા વિસ્તારને એક રહેવાસીએ 'કેસરી 2' ફિલ્મ મેકર્સ સામે ફરિયાદ નોંધાવી છે. 18 એપ્રિલે રિલીઝ ફિલ્મના મેકર્સનું નામ કરણ સિંહ છે અને ફિલ્મમાં અક્ષય કુમાર, આર.માધવન અને અનન્યા કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મી ચાહકો અને ક્રિટિક્સને ‘કેસરી-2’ ખાસ ગમી નથી, તેમ છતાં બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કર્યું છે. ત્યારબાદ મેકર્સે ફિલ્મને ઓટીટી પર રિલિઝ કરી છે. જોકે હવે ફિલ્મ મોટી મુશ્કેલીમાં ફસાઈ છે. કરણ સિંહ સામે એફઆઈઆર નોંધાવાની સાથે તૃણમુલ કોંગ્રેસે પણ વાંધો ઉઠાવ્યો છે.
બંગાળી ક્રાંતિકારીઓનું અપમાન કરવાનો આરોપ
પીટીઆઈના રિપોર્ટ મુજબ, પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી TMCએ 'કેસરી 2' ફિલ્મના નિર્માતાઓની આકરી ઝાટકણી કાઢી છે. પાર્ટીએ કહ્યું છે કે, ‘ફિલ્મના મેકર્સોએ ભારતના સ્વતંત્રતા સંગ્રામના યોગદાનના ઈતિહાસને વિકૃત કર્યો છે અને બંગાળી ક્રાંતિકારીઓનું અપમાન કર્યું છે.’ આ ઉપરાંત મેકર્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદીએ શું કહ્યું?
વાસ્તવમાં વિદ્યાનગર દક્ષિણના રહેવાસી રણજીત બિસ્વાએ ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમાં કહેવાયું છે કે, ‘ફિલ્મમાં દર્શાવાયેલા સીનોએ પશ્ચિમ બંગાળના સ્વતંત્રતા સંગ્રામ સંબંધિત ઐતિહાસિક તથ્યોને વિકૃત કર્યા છે. ફિલ્મમાં મુજ્જફરપુરમ ષડયંત્ર સંબંધીત કોર્ટ રૂમમાં દર્શાવાયેલા સીનમાં ક્રાંતિકારી ખુદીરામ બોઝ અને બરિંદ્ર કુમાર ઘોષને ખોટી રીતે દેખાડ્યા છે. ફિલ્મમાં બંને ક્રાંતિકારીઓને અમૃતસર દેખાડાયા છે, જે બંગાલના સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન છે.’ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી લીધી છે.
CM મમતા બેનરજીએ શું કહ્યું?
મીડિયા રિપોર્ટ મુજબ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ફિલ્મનું નામ લીધા વગર મેકર્સોની ટીકા કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, મેકર્સ પર ભાજપ સાથે મળીને બંગાળના સ્વાતંત્રતા સેનાનીઓના યોગદાનને ઓછું આંકવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન બંગાળી ક્રાંતિકારીઓએ નિભાવેલી ભૂમિકાને ઓછું આંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેની અમે નિંદા કરીએ છીએ. ભાજપ બંગાલ અને અમારા સાંસ્કૃતિક વારસાને નિશાન બનાવી રહી છે.’
આ પણ વાંચો : સલમાન ખાને પોતાની જ ફિલ્મની મજાક ઉડાવતાં કહ્યું - કોઈ ફરક નથી પડ્યો ને?