Esha Gupta & Sonal Chauhan Stuck in UAE: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે અત્યારે સમગ્ર વિશ્વમાં ભારે તણાવ અને ડરનો માહોલ છે. ઈઝરાયલ અને અમેરિકાએ મળીને ઈરાન પર કરેલા હુમલા બાદ સ્થિતિ વણસી છે, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. આ વળતા પ્રહારમાં ઈરાને મિસાઇલો અને ડ્રોન વડે મધ્ય પૂર્વના મોટા શહેરોને નિશાન બનાવતા ત્યાં ફસાયેલા ભારતીયોમાં ભારે ફાળ પડી છે. ખાસ કરીને બોલિવૂડની હસ્તીઓ જેવી કે ઈશા ગુપ્તા, સોનલ ચૌહાણ અને તમિલ સ્ટાર અજિત કુમાર હાલમાં યુએઈ(UAE)માં ફસાયા છે. ફ્લાઇટ્સ બંધ હોવાને કારણે આ સિલેબ્સ યુદ્ધની આ ભયાનક સ્થિતિ વચ્ચે ત્યાં અટવાઈ પડ્યા છે અને જલ્દીથી ભારત પરત આવવા માટે આતુર છે.

યુએઈ સરકારની કામગીરી અને ઈશા ગુપ્તાનો સંદેશ
યુએઈમાં ફસાયેલી અભિનેત્રી ઈશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર પોતાની સુરક્ષા અંગે અપડેટ આપતા સ્થાનિક સરકારનો આભાર માન્યો છે. ઈશાએ જણાવ્યું કે, 'એરપોર્ટ પર ફસાયેલા હજારો લોકો માટે યુએઈ સરકારે રહેવા-જમવાની અને હોટેલ ટ્રાન્સફરની ઉત્તમ વ્યવસ્થા કરી છે. તેણે ખાસ કરીને અબુ ધાબીના વહીવટીતંત્ર અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના વખાણ કરતા કહ્યું કે, આટલી વિકટ પરિસ્થિતિમાં પણ તેઓ સૌને સુરક્ષિત રાખવા માટે શાંતિથી કામ કરી રહ્યા છે. અત્યારે અહીં સ્થિતિ સારી નથી, તેથી હું કોઈના ફોન કે મેસેજ કરી શકતી નથી તે બદલ માફી ચાહું છું, બસ હવે જલ્દી ઘરે પરત થવાની રાહ જોઈ રહી છું.'
સિતારાઓની સુરક્ષા અને ઈરાની અભિનેત્રીની પ્રતિક્રિયા
બીજી તરફ, સોનલ ચૌહાણે પણ પોતે સુરક્ષિત હોવાની જાણકારી આપી છે. તેણે પીએમ મોદીને ટ્વીટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર સતત મેસેજ આવી રહ્યા હતા, જેના જવાબમાં તેણે કહ્યું કે તે સુરક્ષિત છે પણ ફ્લાઇટ્સ શરૂ થવાની રાહ જોઈ રહી છે.
આ દરમિયાન, ઈરાનના નેતાના અવસાન પર જ્યાં એકતરફ શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, ત્યાં બોલિવૂડમાં સક્રિય ઈરાની અભિનેત્રી એલનાઝ નૌરોજીએ આ સમાચાર પર ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. હાલમાં યુદ્ધના કારણે ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ ક્યારે રાબેતા મુજબ શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી, જેના કારણે ફસાયેલા ભારતીયોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.


