જંતર-મંતર પર વિવાદ : કૉકરોચ જનતા પાર્ટીના અભિજીત દિપકે દિલજીત દોસાંઝ પર કટાક્ષ કર્યો !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Abhijeet Dipke Takes Dig At Diljit Dosanjh : સિંગર અને એક્ટર દિલજીત દોસાંજ તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના વિરોધ પ્રદર્શન પર પોતાની ટિપ્પણીને લઈને ચર્ચામાં રહ્યા હતા. હવે, એક નવા વીડિયોમાં એવું સામે આવ્યું છે કે, CJPના ફાઉન્ડર અભિજીત દીપકેએ દોસાંજ પર કટાક્ષ કર્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે 'કાકા'ના નામથી જાણીતા સિંગર રવિન્દરસિંહ આ મુદ્દાના સમર્થનમાં જંતર-મંતર પહોંચ્યા હતા. કાકા જ્યારે પોતાની ફિલ્મ 'ધ 50' ના કો-સ્ટાર સિદ્ધાર્થ ભારદ્વાજ સાથે જંતર-મંતર પહોંચ્યા, ત્યારે ત્યાં એકત્રિત થયેલી ભીડને સંબોધિત કરતી વખતે દીપકેએ દિલજીત દોસાંજ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કાકા તરફ ઈશારો કરતા કહ્યું કે, 'આ પણ એક આર્ટિસ્ટ છે, ભાઈ'.
દિલજીત દોસાંજે શું કહ્યું હતું?
પોતાના એક લાઈવ સેશન દરમિયાન, જ્યારે દિલજીત દોસાંજને પૂછવામાં આવ્યું કે, શું તેઓ પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને NEET પેપર લીક વિવાદને લઈને જંતર-મંતર પર થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે? ત્યારે આ એક્ટર-સિંગરે કહ્યું હતું કે, 'મને આ બધાથી દૂર રાખો… ભાઈ, હું એક આર્ટિસ્ટ છું. હું કોઈ પોલિટિશિયન નથી. મને નથી ખબર કે તમે મને શું સમજો છો. જુઓ, બધું ક્યારેય પણ બરાબર હોઈ શકતું નથી. આ દુનિયામાં બધું ક્યારેય યોગ્ય નથી થઈ શકતુ, તેથી, જે લોકો વિરોધ કરી રહ્યા છે, તેમને પણ અભિનંદન અને જેમના માટે વિરોધ થઈ રહ્યો છે, તેમને પણ અભિનંદન, કારણ કે મને કશી ખબર નથી.'
જોકે, દિલજીત એવા વ્યક્તિ નથી, જેમણે વિરોધ પ્રદર્શનો દરમિયાન ક્યારેય પોતાનો અભિપ્રાય ન રાખ્યો હોય. વર્ષ 2020માં, આ સિંગર ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું હતું. પરંતુ, આ વર્ષે મે મહિનામાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ રાજકારણમાં આવવાની યોજના બનાવી રહ્યા છે, ત્યારે તેમણે કહ્યું હતું કે, 'મારું કામ લોકોનું મનોરંજન કરવાનું છે. હું મારા ક્ષેત્રમાં ખૂબ ખુશ છું.'
CJP વિરોધ કેમ કરી રહી છે?
'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ભારતની શિક્ષણ પ્રણાલીમાં કથિત ગેરરીતિઓ, ખાસ કરીને વારંવાર થતા એક્ઝામ પેપર લીક અને ભરતી સંબંધિત વિવાદો સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ જૂથ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યું છે, અને આ તમામ મુદ્દાઓ માટે તેમને રાજકીય રીતે જવાબદાર ઠેરવી રહ્યું છે. પ્રદર્શનકારીઓ પારદર્શક તપાસ, પરીક્ષા પ્રક્રિયામાં સુધારા અને વિદ્યાર્થીઓ માટે નિષ્પક્ષ તકો સુનિશ્ચિત કરવા માટે મજબૂત સુરક્ષા પગલાંની પણ માંગ કરી રહ્યા છે.









