- રણવીરની મનમાનીથી 45 કરોડનું નુકસાન થયાની ફરહાનની ફરિયાદ
- તમામ સિને સંગઠનોને પ્રતિબંધનો અમલ કરવા અપીલ : બીજી તરફ, રણવીરે કહેડાવી દીધું કે હું જવાબ આપવા બંધાયેલો નથી
મુંબઈ : બોલિવુડનાં ફિલ્મ નિર્માણનાં જુદાં જુદાં પાસાંને લગતાં કામ કરનારા કલાકારો, ટેકનિશિયનો, ક્રૂ મેમ્બર્સનાં ૩૦થી વધારે સંગઠનોના બનેલાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોઈઝ (એફડબલ્યૂઆઈસીઈ) દ્વારા રણવીર પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.
રણવીરે 'ડોન થ્રી' ફિલ્મ સાઈન કર્યા બાદ તેનું શૂટિંગ શરુ થવાને દસ જ દિવસ બાકી હતા ત્યારે અચાનક ફિલ્મ છોડી દેતાં પોતાને ૪૫ કરોડનું નુકસાન થયાની ફરિયાદ નિર્માતા ફરહાન અખ્તરે કર્યા બાદ ફેડરેશને આ નિર્ણય કર્યો છે.
ફરહાને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન દ્વારા ગત ૧૧મી એપ્રિલે ફેડરેશનને આ ફરિયાદ મોકલી હતી. તે પછી ફેડરેશને રણવીરને ત્રણ-ત્રણ વખત રિમાઈન્ડર મોકલ્યાં તે પછી રણવીરે એમ કહેડાવી દીધું હતું કે આ વિવાદ ઉકેલવા માટે ફેડરેશન કોઈ ઉચિત કાયદાકીય ફોરમ નથી. આ કોન્ટ્રાક્ટને લગતી તકરાર છે અને પોતે યોગ્ય કાયદાકીય ફોરમને જ માનવા બંધાયેલો છે. રણવીરના આ જવાબ બાદ ફેડરેશને હજુ પણ તે રણવીર પોતાનો પક્ષ મૂકે તે માટે રાહ જોશે તેવી નોંધ સાથે રણવીર સામે અસહકારના નિર્દેશ જાહેર કર્યા છે. તેનો અર્થ એ કે બોલિવુડના અન્ય કોઈ કલાકાર કે ટેકનિશિયન કે ડાયરેક્ટર રણવીર સાથે કામ નહિ કરે.
ફેડરેશન દ્વારા જણાવાયું હતું કે કોઈ કલાકાર આમ છેલ્લી ઘડીએ ફિલ્મ છોડી દે તેથી નિર્માતાને ભારે આર્થિક નુકસાન થઈ શકે છે અને સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પણ આ બાબત હાનિકારક છે. આથી, ફેડરેશને તમામ નિર્માતા, નિર્દેશક, કલાકારો તથા ટેકનિશિયનોનાં સંગઠનને કલાકારોની આવી મનમાની સામે એકસંપ થઈ ફેડરેશનના નિર્દેશને માન આપવા અપીલ કરી છે.


