Entertainment

મુંબઈના ચંદનવાડી સ્મશાનમાં જૂજ લોકોની હાજરીમાં ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર કરાયા

By GS Team
30 Apr 20202 mins read
This article was originally published on 30 Apr 2020
મુંબઈના ચંદનવાડી સ્મશાનમાં જૂજ લોકોની હાજરીમાં ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર કરાયા

મુંબઇ, તા. 30 એપ્રિલ 2020, ગુરુવાર 

2 વર્ષ સુધી કેન્સર સામેની લડત લડ્યા બાદ બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરનું આજે અવસાર થયું છે. મુંબઇના ગિરગાંવ વિસ્તારમાં સ્થિત સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં ઋષિ કપૂરે આજે સવારે 8 કલાકને 45 મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સમયે તેમની સાથે પત્ની નીતૂ, દિકરા રણબીર કપૂર સહિત પૂરો પરિવાર હાજર હતો.

ઋષિ કપૂરના મરીન લાઇન્સના ચંદનવાડી સ્મશાન ઘાટ પર 4 કલાક 17 મિનિટે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. આ અંતિમ યાત્રામાં માત્ર 24 લોકોને સામેલ થવાની પરવાનગી આપવામાં આવી છે. અંતિમ સંસ્કાર દરમિયાન મુંબઇ પોલિસે નીતૂ કપૂર, રીમા જૈન, મનોજ જૈન, અરમાન જૈન, આદર જૈન, અનીષા જૈન, રાજીવ કપૂર, રણધીર કપૂર, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, વિમલ પારિખ, નતાશા નંદન, અભિષેક બચ્ચન, ડૉક્ટર તરંગ, આલિયા ભટ્ટ, અયાન મુખર્જી, જય રામ, રોહિત ધવન, રાહુલ રવૈલ, કુણાલ કપૂરને હાજર રહેવાની પરવાનગી મળી છે. પુત્ર રણબીરે મુખાગ્નિ આપી હતી. ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા પિતાની અંતિમ વિદાયમાં પહોંચી ન શકી.

 

દિકરી રિદ્ધિમાને મુંબઇ આવવા માટે પરવાનગી મળી 

ઋષિ કપૂરની દિકરી રિદ્ધિમાને દિલ્હી પોલીસે મૂવમેન્ટ પાસ આપ્યો છે. રિદ્ધિમાને મુંબઇ જવા માટે દિલ્હી પોલીસે પરમિશન આપી દીધી છે. ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર સાઉથ ઇસ્ટ દિલ્હીના ફ્રેન્ડ્સ કોલોનીમાં રહે છે. દિલ્હી પોલીસે તેમને મુંબઇ આવવા માટે મૂવમેન્ટ પાસ આપ્યો છે. સવારે 10:30 કલાકે 5 લોકો માટે પાસ જાહેર કરવામાં આવ્યો છે. 


હૉસ્પિટલ પહોંચ્યા આલિયા અને કરિના
ઋષિ કપૂરના અંતિમ દર્શન કરવા માટે બૉલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હૉસ્પિટલ પહોંચી. આ ઉપરાંત કરીના કપૂર અને તેના પતિ સૈફ અલી ખાન પણ હૉસ્પિટલ પહોંચ્યા છે. આ ઉપરાંત અભિષેક બચ્ચન અને કપૂર ફેમિલીના કેટલાય નજીકના લોકો હૉસ્પિટલ પહોંચી ચૂક્યા છે. 


ઋષિના અવસાનના સમાચાર મળ્યા બાદ તેમના કેટલાય તેમના ચાહકો હૉસ્પિટલ બહાર પહોંચી ગયા હતા. લોકડાઉનનું પાલન કરાવવા માટે એકઠી થતી લોકોની ભીડને ઓછી કરવા મુંબઇ પોલીસે ઋષિ કપૂરના ફેન્સને ઘરે પરત જવાની સલાહ આપી છે. હૉસ્પિટલની આસપાસ 100 મીટર સુધીનો માર્ગ ખાલી કરાવી દીધો છે. કોઇને પણ હૉસ્પિટલમાં જવાની પરવાનગી નથી. 


કપૂર ફેમિલીએ પોતાના સંદેશમાં કહ્યુ છે કે વ્યક્તિગત નુકશાનના આ સમયમાં અમે એ વાત પણ સમજીએ છીએ કે દુનિયા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. સાર્વજનિક રીતે એકત્ર થવા પર કેટલાય પ્રતિબંધ છે. અમે તેમના બધા જ પ્રશંસકો અને શુભચિંતકો અને પરિવારના દોસ્તોને અપીલ કરીએ છીએ કે તેઓ લોકડાઉનનું પાલન કરે.

કરિના કપૂર પિતા રણધિર કપૂર અને પતિ શૈફ અલિ ખાન સાથે