પહલગામ હુમલા બાદ સતત બ્લેન્ક ટ્વિટ કરનારા 'બિગ બી'એ આખરે મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર અંગે જુઓ શું કહ્યું
Amitabh Bachchan Reaction On Operation Sindoor: જમ્મુ-કાશ્મીર પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદીઓએ ક્રૂરતાપૂર્વક 26 લોકોની હત્યા કરી દીધી હતી, જેના કારણે દેશભરમાં ગુસ્સાની લાગણી છે. પહલગામ હુમલાનો બદલો લેવા માટે 7 મેના દિવસે 'ઓપરેશન સિંદૂર' દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoKમાં સ્થિત 9 આંતકી ઠેકાણાને નષ્ટ કરી દીધા હતા. ભારતના આ પગલા બાદ અનેક ભારતીય કલાકારોએ સેના અને સરકારના વખાણ કર્યા છે, પરંતુ અમિતાભ બચ્ચને હજુ સુધી આ મામલે ચુપ્પી સાધી હતી. જોકે, હવે અમિતાભ બચ્ચને પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે.
પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર અમિતાભ બચ્ચનનું રિએક્શન
અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા દ્વારા પહલગામ હુમલામાં મોતને ભેટેલા નિર્દોષ અને ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલા 'ઓપરેશન સિંદૂર' પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં આતંકવાદીઓને કાયર અને રાક્ષસ જણાવી હુમલામાં મોતને ભેટેલા નિર્દોષોને લઈને શોક વ્યક્ત કર્યો અને ઓપરેશન સિંદૂરના વખાણ પણ કર્યાં. તેમણે પોતાના દિલની ભાવના કવિતાના માધ્યમથી વ્યક્ત કરી હતી.
કવિતા દ્વારા મૂકી પોતાની વાત મૂકી
અમિતાભ બચ્ચને પહલગામ હુમલામાં મોતને ભેટેલા લોકો માટે શોક વ્યક્ત કરતા લખ્યું, 'એ રાક્ષસે, નિર્દોષ પતિ-પત્નીને બહાર ખેંચી, પતિને નગ્ન કરી તેના ધર્મ પૂછ્યા બાદ, તેને ગોળી મારવા લાગી. પત્ની ઘૂંટણે પડી ગઈ અને રડતા-રડતા વિનંતી કરી કે મારા પતિને ન મારો. તેના પતિને એ રાક્ષસે કાયરતાથી ખૂબ જ ક્રૂરતા સાથે મારીને પત્નીને વિધવા બનાવી દીધી!!! જ્યારે પત્નીએ કહ્યું, 'મને પણ મારી દો!! તો રાક્ષસે કહ્યું નહીં! તું જઈને '...' ને કહેજે! આ દીકરીની મનઃસ્થિતિ પર પૂજ્ય બાપૂજીની એક કવિતાની પંક્તિ યાદ આવી- જાણે તે દીકરી '...' પાસે ગઈ અને કહ્યું- 'હે ચિતા કી રાખ કર મેં, માંગતી સિંદૂર દુનિયા' (બાપૂજીની પંક્તિ) તો '...'એ આપ્યું સિંદૂર!!! OPERATION SINDOOR!!! જય હિન્દ, જય હિન્દી કી સેના, ન થમેગા કભી, ન મૂડેગા કભી, તૂ ન ઝૂકેગા કભી કર શપથ, કર શપથ, કર શપથ! અગ્નિપથ! અગ્નિપથ! અગ્નિપથ!
19 દિવસથી બ્લેન્ક ટ્વીટ
જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચને લાંબા સમયથી પહલગામ હુમલા પર ચુપ્પી સાધી હતી અને આ વાત ફેન્સને જરાય પસંદ નહતી આવી. છેલ્લાં ઘણાં દિવસોથી બચ્ચન ટ્વિટ તો કરી રહ્યા હતાં પરંતુ, બ્લેન્ક. તેમણે ન તો પહલગામ હુમલા પર કંઈ કહ્યું અને ન તો ઓપરેશન સિંદૂર પર. આ સિવાય ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ પર પણ તે ચૂપ હતાં. એવામાં યુઝર્સ સતત સવાલ કરી રહ્યા હતાં કે આખરે તેઓ ક્યારે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપશે? હવે ભારત-પાકિસ્તાનનો તણાવ વધી રહ્યો છે, ત્યારે તેમની આ પોસ્ટ વાઈરલ થઈ રહી છે.