ટ્રેનમાં ભજન ગાતા નેત્રહીન સિંગર સુનિલ લોધીનું ચમક્યું નસીબ: 'હનુમાન અંશ'ના ગીતે મચાવી ધૂમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hanuman Ansh Singer Suneel Lodhi: બુંદેલખંડની માટીની સુગંધ અને પરંપરાગત તંબૂરાની મધુર ધૂન સાથે ભક્તિ ગીતોને પોતાનો અવાજ આપનાર લોકગાયક સુનિલ લોધીની સ્ટોરી હાલમાં લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ફિલ્મ 'હનુમાન અંશ' અને તેનું એક ખૂબ જ શાનદાર, સરળ અને દિલને સ્પર્શી જાય તેવું ગીત, જેનું નામ છે- 'મેંને તેરે હી ભરોસે હનુમાન સાગર મેં નૈયા ડાર દઈ'.
આ ગીતને સુનિલ લોધીએ અવાજ આપ્યો છે, જે ભલે નેત્રહીન છે પરંતુ કલાના મામલે શાનદાર છે. આગરાના એક નાના ગામ જેવા જૈસીનગર બ્લોકમાં રહેતા સુનિલ લોધીએ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક દિવસ તેમનો અવાજ દરેક વ્યક્તિની જીભ પર હશે.
કોણ છે સિંગર સુનિલ લોધી
પ્રસિદ્ધ લોકગાયક સુનિલ લોધીનો જન્મ મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના એક નાના ગામ અગરા (બુંદેલખંડ)માં થયો હતો. હાલના સમયે તેમની ઉંમર 26 વર્ષ બતાવવામાં આવી રહી છે, જોકે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. સુનીલ લોધી જન્મથી જ નેત્રહીન છે, પરંતુ તેમણે તેને પોતાની નબળાઈ ન બનવા દીધી.
તેઓ એક ગરીબ ખેડૂત પરિવારમાંથી આવે છે. બાળપણમાં તેમના માતા-પિતાએ તેમની આંખો માટે ઘણી મોંઘી સારવાર કરાવી પરંતુ કોઈ સફળતા ન મળી.
કેવી રીતે શરૂ થઈ સંગીતની સફર
નેત્રહીન હોવાના કારણે સુનિલ લોધી શાળાએ જઈ શક્યા નહોતા, બાદમાં તેમણે સંગીતને પોતાનો મિત્ર બનાવી લીધો. 10 થી 11 વર્ષની ઉંમરથી સુનિલ લોધીએ વડીલો વચ્ચે બેસીને તંબૂરો વગાડતા શીખ્યું. બાદમાં તેમણે ટ્રેનો અને સ્થાનિક કાર્યક્રમોમાં પણ ભજન ગાયા, પરંતુ તેને તે સફળતા ન મળી જેનો તે હકદાર હતો.
આ વર્ષે જાન્યુઆરીમાં સોશિયલ મીડિયા પર તેમનું એક ગીત સામે આવ્યું હતું, જેનું નામ હતું- 'ઓ મોરે સંકટ કે કટૈયા હનુમાન'. આ ગીત પર જોતજોતામાં લગભગ 30 મિલિયન વ્યુઝ આવી ગયા. આ ગીતની ગુંજ મુંબઈ સુધી પહોંચી અને નિર્માતા પંકજ વીઆરકેએ સુનિલ લોધીને મુંબઈ બોલાવી લીધો, જ્યાં તેને તેની લાઈફનું સૌથી શાનદાર ગીત 'મેંને તેરે હી ભરોસે હનુમાન' મળ્યું.
સોશિયલ મીડિયા પર વાઈરલ
હાલમાં ફિલ્મ 'હનુમાન અંશ'નું આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે અને દર્શકો દ્વારા તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. એક સમયે ગામના વડીલો સાથે બેસીને તંબૂરો વગાડતા સુનિલનું, આજે ઘોંઘાટવાળા ગીતો વચ્ચે માત્ર તંબૂરાની ધૂન પર બનેલું આ ગીત ખરેખર કમાલ કરી રહ્યું છે.
આજે સુનિલ લોધીની સ્ટોરી તેની કોઈ ખામીથી નહીં પરંતુ તેની શાનદાર પ્રતિભાથી ઓળખાઈ રહી છે. ફિલ્મ 'હનુમાન અંશ'માં આ ગીત દર્શાવવામાં આવ્યું છે, જે નૈનીતાલના નીમ કરોલી બાબાના જીવન પર આધારિત છે.




