'શું આપણે મુસ્લિમ છીએ?' ફરહાને ધર્મ અંગે સવાલ કર્યો તો જાવેદ અખ્તરે શું જવાબ આપ્યો?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Javed Akhtar On Parenting: બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તર હંમેશાં પોતાના વિચારો બેબાકીથી રજૂ કરવા માટે જાણીતા છે. તેઓ પોતે નાસ્તિક છે અને ધર્મ તેમજ ઈશ્વર અંગેના પોતાના વિચારો વિશે અનેક મંચો પર ખુલીને બોલી ચૂક્યા છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તરે પોતાના બંને બાળકો—ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરના ઉછેર તેમજ ધાર્મિક ઓળખ સાથે જોડાયેલો એક અત્યંત રસપ્રદ કિસ્સો શેર કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેમણે ક્યારેય પોતાના બાળકોને કોઈ ચોક્કસ ધર્મ સાથે બાંધ્યા નથી કે તેમને ધાર્મિક ઓળખ આપી નથી.
શાળાએથી દોડીને આવેલા 7-8 વર્ષના ફરહાનનો માસૂમ સવાલ
આ ઘટના તેમના પુત્ર ફરહાન અખ્તરના બાળપણ સાથે જોડાયેલી છે. એક ઈન્ટરવ્યુમાં વાતચીત કરતી વખતે જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે તેમના બાળકો સંપૂર્ણપણે 'ધર્મનિરપેક્ષ' કે કોઈ ધર્મ સાથે ન જોડાયેલા રહ્યા છે. તે પ્રસંગને યાદ કરતાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે:
"મારા બાળકો 'areligious' એટલે કે કોઈ ધર્મ સાથે જોડાયેલા નહોતા. કદાચ મારી જગ્યાએ કોઈ બીજો પિતા હોત તો બાળકોને ધર્મના પાઠ ભણાવી ચૂક્યો હોત. સામાન્ય રીતે જ્યારે બાળકો 11 કે 12 વર્ષના થાય છે, ત્યાં સુધીમાં તેમને પોતાના ધર્મ વિશે ખબર પડી જતી હોય છે. મને બરાબર યાદ છે જ્યારે ફરહાન આશરે 7-8 વર્ષનો હતો. એક દિવસ તે શાળાએથી ઘરે આવ્યો, તેના ખભા પર સ્કૂલ બેગ લટકતી હતી. તેમ છતાં તે દોડતો દોડતો મારી પાસે આવ્યો કારણ કે તેને કંઈક અગત્યની વાત પૂછવી હતી. ફરહાને મને આવીને પૂછ્યું— 'શું આપણે મુસ્લિમ છીએ?'"
જાવેદ અખ્તરની શિખામણ: કયા સમુદાયમાં જન્મ્યા તે મહત્ત્વનું નથી
પુત્રના આ નિર્દોષ સવાલ પર જાવેદ અખ્તરે તેને જીવનનો મોટો પાઠ સમજાવ્યો હતો. તેમણે ફરહાનને સમજાવ્યું કે જ્યારે કોઈ બાળક જન્મે છે, ત્યારે તે કોઈ શહેરમાં જન્મે છે—જેમ કે પુણે, મુંબઈ, આગ્રા, અમદાવાદ, લંડન કે ન્યૂયોર્ક. તેઓ પણ સામાન્ય બાળકની જેમ જ જન્મ્યા છે. માણસ કયા શહેરમાં જન્મ્યો છે કે કયા ધાર્મિક સમુદાયમાં પેદા થયો છે તે બાબત જરાય મહત્ત્વ રાખતી નથી. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે તમે એક વ્યક્તિ તરીકે કેવા માણસ છો. જેમ જેમ બંને બાળકો મોટા થતા ગયા, તેઓ પોતાની મેળે દુનિયા અને ધર્મો વિશે સમજતા થયા, પરંતુ માતા-પિતા તરીકે તેમણે ક્યારેય બાળકો પર ધાર્મિક સંસ્કારો કે માન્યતાઓ થોપી નહોતી.
બાળકોની સફળતા પર ગર્વ: પોતાની મહેનતથી બનાવી ઓળખ
ફરહાન અને ઝોયા અખ્તર પોતાના પિતા જાવેદ અખ્તરની ખૂબ નજીક છે. આ બંને બાળકો જાવેદ અખ્તરની પ્રથમ પત્ની હની ઈરાનીના છે, જ્યારે બાદમાં જાવેદે અભિનેત્રી શબાના આઝમી સાથે બીજા લગ્ન કર્યા હતા. ગીતકારને પોતાના બંને સંતાનોની કારકિર્દી અને સિદ્ધિઓ પર ભારે ગર્વ છે. તેમનું માનવું છે કે ફરહાન અને ઝોયાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે નામ અને સફળતા હાંસલ કરી છે, તે સંપૂર્ણપણે પોતાના ટેલેન્ટ અને દમ પર મેળવી છે, જેમાં માતા-પિતાના પ્રભાવનું કોઈ યોગદાન નથી. પોતાના સંતાનોની પ્રામાણિકતાની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે:
"મારા બાળકોએ સફળતા મેળવવા માટે ક્યારેય મૂલ્યો સાથે સમાધાન કર્યું નથી. તેમણે નામ, પ્રસિદ્ધિ કે પૈસા મેળવવા માટે ક્યારેય હલકું કે અશ્લીલ કામ કર્યું નથી અને પોતાની ગરિમા હંમેશાં જાળવી રાખી છે."




