Entertainment

દુબઈમાં કોન્સર્ટના ગણતરીના કલાકો પહેલાં ભારતીય સિંગરનું આકસ્મિક નિધન

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડના ગાયક ઉદિત નારાયણ જેવા અવાજ ધરાવતા ભારતીય ગાયક નિસાર વાયનાડનું 44 વર્ષની વયે દુબઈની હોસ્પિટલમાં 5 સપ્ટેમ્બરના રોજ નિધન થયું છે. અજમાનમાં કાર્યક્રમ પહેલા તેમને અચાનક તાવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તબીબી અહેવાલ મુજબ, ગંભીર ઇન્ફેક્શન અને ઓર્ગન ફેલિયરને કારણે તેમનું અવસાન થયું. કેરળના વાયનાડના નિસાર, યુએઈમાં સંગીત કાર્યક્રમો માટે ગયા હતા, જ્યાં તેમના આકસ્મિક નિધનથી સંગીત જગતમાં શોક છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુબઈમાં કોન્સર્ટના ગણતરીના કલાકો પહેલાં ભારતીય સિંગરનું આકસ્મિક નિધન
IMAGE - Instagram/nisar.wayanad

Singer Nisar Wayanad Passes Away: બોલિવૂડના પ્રખ્યાત પ્લેબેક સિંગર ઉદિત નારાયણ જેવા અવાજ માટે જાણીતા ભારતીય ગાયક નિસાર વાયનાડનું શનિવારે સાંજે, 5 સપ્ટેમ્બરના રોજ દુબઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. અજમાનમાં યોજાનારા એક મ્યુઝિકલ પ્રોગ્રામમાં પરફોર્મ કરવાના થોડા કલાકો પહેલા જ તેમનું અવસાન થતાં સંગીત જગતમાં શોક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિસાર વાયનાડ માત્ર 44 વર્ષના હતા.

કેરળના વાયનાડથી યુએઈ સુધીની સંગીત સફર

નિસારનું નામ નિસાર અરોથ ઇબ્રાહિમ હતું અને તેઓ કેરળના વાયનાડ જિલ્લાના કંબલક્કડના વતની હતા. તેઓ ઓગસ્ટ મહિનામાં સંગીત કાર્યક્રમોની શ્રેણી માટે યુનાઇટેડ અરબ એમિરેટ્સ (UAE) ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર, શનિવારે બપોરે અચાનક સખત તાવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. દુબઈ અને સાઉદી અરેબિયામાં પણ તેમના આગામી મ્યુઝિકલ શો યોજાવાના હતા. તેમના આકસ્મિક અવસાનથી યુએઈમાં વસતા મલયાલી સમુદાયને મોટો આઘાત લાગ્યો છે.

મોતનું તબીબી કારણ: ગંભીર ઇન્ફેક્શન અને ઓર્ગન ફેલિયર

મેડિકલ રિપોર્ટ અનુસાર, તેમના મૃત્યુનું મુખ્ય કારણ 'એસિડોસિસ' (Acidosis) દર્શાવવામાં આવ્યું છે. આ સિવાય ઇન્ફેક્શનના કારણે સમગ્ર શરીરમાં સોજો આવવો (Systemic Inflammatory Response Syndrome) અને ઓર્ગન ફેલિયર (અંગો કામ કરતા બંધ થવા) થવાનું કારણ સામે આવ્યું છે. શરીર અથવા લોહીમાં બહુ ગંભીર ઇન્ફેક્શન થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. એસિડોસિસ એક એવી ગંભીર તબીબી પરિસ્થિતિ છે જેમાં શરીરનું લોહી અથવા અન્ય પ્રવાહી વધુ પડતું એસિડિક થઈ જાય છે, જે ગંભીર બીમારી કે અંગો ફેલ થવાને કારણે બને છે.

ઉદિત નારાયણ સાથે સ્ટેજ શેર કરનાર જાણીતા કલાકાર

પોતાના લોકપ્રિય 'માપિલાપટ્ટુ' (Mappilapattu) પર્ફોર્મન્સ માટે જાણીતા નિસારે અનેક મલયાલમ આલ્બમ્સમાં ગીતો ગાયા હતા અને અભિનય પણ કર્યો હતો. તેમણે પ્લેબેક સિંગર તરીકે પણ કામ કર્યું હતું. પોતાની માતૃભૂમિ પ્રત્યેના પ્રેમને કારણે તેમણે પોતાના નામમાં વાયનાડ જોડ્યું હતું. તેઓ અવાજમાં ઉદિત નારાયણ સાથે અદ્ભુત સમાનતા ધરાવતા હતા અને તેમણે બહરીનમાં યોજાયેલા એક વિશાળ કાર્યક્રમમાં ખુદ ઉદિત નારાયણ સાથે સ્ટેજ પણ શેર કર્યું હતું.