MS સુબ્બુલક્ષ્મીના ગીતો સાંભળી નાણામંત્રી નિર્મલા સીતારમણ રડી પડ્યા, બેંગલુરુના હોલમાં સર્જાયા ભાવુક દૃશ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

MS Subbulakshmi 110th Jayanthi: બેંગલુરુમાં મહાન કર્ણાટક ગાયિકા એમ. એસ. સુબ્બુલક્ષ્મીની 110મી જયંતી નિમિત્તે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ભાવુક થઈ ગયા હતા અને ગીત સાંભળતી વખતે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ કાર્યક્રમ બેંગલુરુના ચૌડૈયા મેમોરિયલ હોલમાં યોજાયો હતો, જ્યાં સુબ્બુલક્ષ્મીની પૌત્રીઓ એસ. એશ્વર્યા અને એસ. સૌંદર્યાએ તેમની પરદાદીની સંગીત પરંપરાને આગળ વધારતા અદ્ભુત પ્રસ્તુતિ આપી હતી.
સંગીત જગતનું મોટું નામ અને આગામી બાયોપિક
એમ. એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ 16 સપ્ટેમ્બર, 1916ના રોજ મદુરાઈમાં થયો હતો. સંગીત ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને 1998માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન'થી નવાજવામાં આવ્યા હતા. હવે તેમના જીવન પર ટૂંક સમયમાં જ એક બાયોપિક ફિલ્મ બનવા જઈ રહી છે, જેમાં અભિનેત્રી રશ્મિકા મંદાના મુખ્ય રોલ ભજવશે. આ ફિલ્મનું સત્તાવાર લોન્ચિંગ 16 સપ્ટેમ્બર, 2026ના રોજ તેમની 110મી જયંતી પર ચેન્નાઈની 'ધ મ્યુઝિક એકેડમી' ખાતે કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન ગૌતમ તિન્નનુરી કરી રહ્યા છે.
મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ પણ હતા પ્રશંસક
સુબ્બુલક્ષ્મીના અવાજનો જાદુ એવો હતો કે દેશના દિગ્ગજ નેતાઓ પણ તેમના ફેન હતા. મહાત્મા ગાંધી ખાસ ફરમાઈશ પર તેમની પાસે 'રઘુપતિ રાઘવ રાજા રામ' સાંભળતા હતા. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, 'તમારા અવાજમાં દિલોના તાર હલાવવાની તાકાત છે, હું તમારા સામે શું છું, માત્ર એક સામાન્ય વડાપ્રધાન.' તેમની ગાયકીના ભજનો આજે પણ યુટ્યુબ પર કરોડો લોકો દ્વારા સાંભળવામાં આવે છે.
બાળપણથી સંગીતનો પ્રવાસ અને ફિલ્મ 'મીરા'ની સફળતા
સુબ્બુલક્ષ્મીની માતા દેવદાસી સમાજમાંથી આવતા વીણાવાદક હતા અને પિતા ગાયક હતા. નાની ઉંમરથી જ સંગીતની તાલીમ મેળવ્યા બાદ, 13 વર્ષની વયે તેમણે મદ્રાસ મ્યુઝિક એકેડમીમાં પહેલું સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું હતું, જેણે સંગીત જગતમાં ધૂમ મચાવી દીધી હતી. તેમના પતિ ટી. સદાશિવમના પ્રોત્સાહનથી તેમણે 1945માં આવેલી ઐતિહાસિક ફિલ્મ 'મીરા'માં મુખ્ય અભિનેત્રી અને ગાયિકા તરીકે કામ કર્યું. આ ફિલ્મ બોક્સ ઑફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ અને સુબ્બુલક્ષ્મી તમિલ સિનેમાથી રાષ્ટ્રીય સ્તરના સ્ટાર બની ગયા.
ગાંધીજીની હત્યાનો આઘાત
સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન મહાત્મા ગાંધી સાથે ગાઢ સંબંધ ધરાવતા સુબ્બુલક્ષ્મીને 30 જાન્યુઆરી, 1948ના રોજ ગાંધીજીના અવસાનના સમાચાર મળતા ભારે આઘાત લાગ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા. આ દુઃખદ ઘટના બાદ તેમણે ઘણા મહિનાઓ સુધી ગાંધીજીનું પ્રિય ભજન 'હરિ તુમ હરો' ગાવાનું બંધ કરી દીધું હતું.




