Gujarat

સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી

By GS Team
22 Nov 20212 mins read
This article was originally published on 22 Nov 2021
સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી

વાલીઓ પાસે સંમતિ મગાવવાની કામગીરી ચાલુ હોવાથી વર્ગખંડ ખાલી : શિક્ષકો જુએ છે વિદ્યાર્થીઓની રાહ

સુરત, તા. 22 નવેમ્બર 2021 સોમવાર 

ગુજરાત સરકારે વાલી અને કમિટિ સાથે ચર્ચા કર્યા વિના જ આજથી ધો. 1થી 5ના વર્ગો શરૂ કરી દીધા છે પરંતુ આજે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ ખાલી ખમ જોવા મળી રહી છે. શાળામાં શિક્ષકો પહોચી ગયાં છે પરંતુ તેઓ વિદ્યાર્થીઓના આગમનની રાહ જોઈ રહ્યાં છે. 

સરકારની જાહેરાત પ્રમાણે હજી વાલીઓ પાસં બાળકોની હાજરીની સંમતિ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે શૈક્ષણિક કાર્ય શરૂ કરતાં હજી ત્રણ ચાર દિવસ જેટલો સમય વિતી જાય તેવી શક્યતા છે.

ગુજરાતના  શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે સુરતમાં ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ આપવાની જાહેરાત કરી છે. તેઓએ 50 ટકા હાજરી અને જુની એસ.ઓ.પી. પ્રમાણે વાલીઓની સંમતિથી શાળા શરૃ કરવા માટેની જાહેરાત કરી હતી. પરંતુ સુરત નગર પ્રાથમિક  શિક્ષણ સમિતિમાં પહેલાં દિવસે દસ ટકા જેટલી હાજરી પણ નથી. સત્ર શરૂ કરવા પહેલાં સુરત મ્યુનિ. તંત્રએ શાળા સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. 

આજે સાંજ સુધીમાં તમામ સ્કુલોને સેનેટાઈઝ કરી દેવામાં આવશે. સુરત મ્યુનિ. સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ અને યુનિફોર્મ વિના સત્રની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ હજી વાલીઓમાં કોરનાનો ડર જોવા મળી રહ્યો છે. શિક્ષકો અને સમિતિ દ્વારા વાલીઓ પાસે સંમતિ મંગાવવા માટેની કામગીરી શરૂ કરી છે. જેના કારણે આજે દસ ટકા જેટલી પણ હાજરી નથી. 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં હજી પણ વિદ્યાર્થીઓ માટે વેકેશનનો માહોલ છે જ્યારે શિક્ષકો ફરજ પર આવી ગયાં છે અને ઓન લાઈન શિક્ષણ પણ શરૂ કર્યું છે. સમિતિમાં વાલીઓની સંમતિ બાદ આગામી ત્રણેક ચાર દિવસમાં 50 ટકા હાજરીની ગાઈડ લાઈન પ્રમાણે શિક્ષણ શરૂ કરવામાં આવશે.