યુદ્ધને કારણે ડ્રાય ફ્રૂટ્સના ભાવમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો

અમદાવાદ : પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિઓની ભારતના ડ્રાય ફ્રૂટ્સના બજાર પર ભારે અસર પડી રહી છે. મુખ્યત્વે ઈરાન અને અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવતા પિસ્તા, અંજીર, ખજૂર અને અન્ય સૂકા ફળોનો સપ્લાય ખોરવાઈ જતા ભાવમાં ટૂંકાગાળામાં જ ૨૦થી ૨૫ ટકાનો ભડકો જોવા મળ્યો છે.
વેપારીઓએ ચેતવણી આપી છે કે જો આ જ સ્થિતિ ચાલુ રહેશે તો ગ્રાહકોને આગામી તહેવારોની મોસમ દરમિયાન નોંધપાત્ર રીતે ઊંચા દરે ડ્રાય ફ્રૂટ ખરીદવા પડી શકે છે. પિસ્તાના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થયો છે, જ્યારે અંજીરના ભાવમાં આશરે ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. એકંદરે, મોટાભાગના મુખ્ય ડ્રાય ફ્રૂટના ભાવમાં ૧૦થી ૨૫ ટકાનો વધારો થયો છે.
જોકે કાજુ અને કિસમિસના ભાવમાં હાલમાં કોઈ મોટો ઉછાળો થવાની શક્યતા નથી કારણકે આ ડ્રાય ફ્રૂટ્સ ભારતમાં સ્થાનિક સ્તરે ઉત્પન્ન થાય છે અને હાલમાં તેમની બજારની સ્થિતિ સંતુલિત છે.
ખાડી દેશોના સંઘર્ષને કારણે શિપિંગ, વીમા અને નૂર શુલ્કમાં વધારો થયો છે. આ સિવાય પરિવહન સમયગાળો પણ અનેકગણો વધ્યો છે. આ સમયગાળો વધતા ડ્રાયફ્રૂટ્સની ગુણવત્તા વધુ બગડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નિષ્ણાતો માને છે કે વાસ્તવિક પડકાર તહેવારોની મોસમ, દિવાળી પહેલા ઉભરી આવશે, જે સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં શરૂ થાય છે. જો ત્યાં સુધીમાં સપ્લાય ચેઇન સામાન્ય નહીં થાય, તો વધતી માંગને કારણે ભાવ વધુ વધી શકે છે અને એકંદર માંગમાં ૧૦થી ૧૫ ટકાનો ઘટાડો થઈ શકે છે.









