Business

જાણીતા ઉદ્યોગપતિના નિધન બાદ 30000 કરોડનો મિલકત વિવાદ, પરિવાર સમાધાનની નજીક

By GS Team
6 Aug 20263 mins read
TukuTouch Logo
દિવંગત ઉદ્યોગપતિ સંજય કપૂરની 30,000 કરોડની સંપત્તિનો પારિવારિક વિવાદ હવે ઉકેલ તરફ છે. સુપ્રીમ કોર્ટે સંજયના માતા રાણી કપૂર અને પત્ની પ્રિયા કપૂર વચ્ચેની મધ્યસ્થતા 2 નવેમ્બર સુધી લંબાવી. કોર્ટે આશા વ્યક્ત કરી કે, વાતચીત સંતોષકારક રહી છે અને પક્ષો શાંતિપૂર્ણ ઉકેલની નજીક છે. મધ્યસ્થતાનો ખર્ચ RK ફેમિલી ટ્રસ્ટ ચૂકવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જાણીતા ઉદ્યોગપતિના નિધન બાદ 30000 કરોડનો મિલકત વિવાદ, પરિવાર સમાધાનની નજીક

Supreme Court On Sanjay Kapur Property Case : દિવંગત ઉદ્યોગપતિ સંજય કપૂરની સંપત્તિ અને આરકે ફેમિલી ટ્રસ્ટને લઈને પરિવારમાં ચાલી રહેલો વિવાદ હવે ઉકેલ તરફ આગળ વધી રહ્યો છે. લાંબા સમયથી કાનૂની લડાઈમાં અટવાયેલા કપૂર પરિવારના આ મામલે સુપ્રીમ કોર્ટે આશા વ્યક્ત કરી છે કે, વાતચીત અને પરસ્પર સંમતિથી આ વિવાદ પૂરો થઈ શકે છે. કોર્ટે સંજય કપૂરના માતા રાણી કપૂર અને પત્ની પ્રિયા કપૂર વચ્ચે ચાલી રહેલી મધ્યસ્થતા પ્રક્રિયાને 2 નવેમ્બર સુધી આગળ વધારવાની મંજૂરી આપી છે. કોર્ટનું કહેવું છે કે અત્યાર સુધીની વાતચીત સંતોષકારક રહી છે અને તમામ પક્ષો શાંતિપૂર્ણ ઉકેલની ખૂબ નજીક પહોંચી ગયા છે.

સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા અંગે શું નિર્ણય લીધો?

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે મધ્યસ્થતાનો તમામ ખર્ચ આરકે ફેમિલી ટ્રસ્ટ દ્વારા જ ચૂકવવામાં આવે. કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, જો કોઈ કારણોસર મધ્યસ્થતા સફળ નહીં થાય, તો તમામ પક્ષોને કાયદા મુજબ આગળ વધવાની છૂટ રહેશે. પરંતુ મધ્યસ્થતાના તાજેતરના રિપોર્ટને જોતાં કોર્ટને પૂરો વિશ્વાસ છે કે આ વિવાદ કોઈ કાનૂની લડાઈ વગર શાંતિથી પૂરો થઈ જશે.

30,000 કરોડની સંપત્તિનો વિવાદ

આ સમગ્ર વિવાદ ઉદ્યોગપતિ સંજય કપૂરના જૂન 2025માં થયેલા અવસાન પછી શરૂ થયો હતો. તેમના અવસાન બાદ લગભગ 30,000 કરોડ રૂપિયાની સંપત્તિ અને બિઝનેસના અધિકારોને લઈને પરિવારના સભ્યો સામસામે આવી ગયા હતા. આ કેસમાં સંજય કપૂરના માતા રાણી કપૂર, તેમની પત્ની પ્રિયા સચદેવ કપૂર અને તેમની પ્રથમ પત્ની કરિશ્મા કપૂરના બાળકો સમાયરા તથા કિયાનના હક અંગે પ્રશ્નો ઊભા થયા હતા.

કરિશ્મા કપૂર સાથેનો સંબંધ અને બાળકોનો હક

સંજય કપૂર અને બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના લગ્ન વર્ષ 2003માં થયા હતા અને બંને વર્ષ 2016માં અલગ થઈ ગયા હતા. તેમને બે બાળકો છે, સમાયરા અને કિયાન. સંજય કપૂરે પોતાના બાળકોના ભવિષ્ય માટે ઘણી આર્થિક જોગવાઈઓ કરી હતી. પરંતુ તેમના નિધન પછી બીજી પત્ની પ્રિયા કપૂર અને બાળકો વચ્ચે સંપત્તિના અધિકાર અંગે વિવાદ સામે આવ્યો હતો.

સંજય કપૂરના માતા રાણી કપૂરે શું કહ્યું?

આ વિવાદના કેન્દ્રમાં આરકે ફેમિલી ટ્રસ્ટ છે, જેની સ્થાપના વર્ષ 2017માં કરવામાં આવી હતી. સંજય કપૂરના માતા રાણી કપૂરનો આરોપ છે કે આ ટ્રસ્ટ તેમની જાણ કે સંમતિ વગર બનાવવામાં આવ્યું હતું અને પરિવારની તમામ મિલકતો તેમાં સામેલ કરી દેવામાં આવી હતી. તેમણે આ ટ્રસ્ટને ગેરકાયદે ગણાવી તેને રદ કરવા માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી.

સંજય કપૂરના પત્ની પ્રિયા કપૂરે શું કર્યો આક્ષેપ?

બીજી તરફ, સંજય કપૂરના પત્ની પ્રિયા કપૂરનું કહેવું છે કે ટ્રસ્ટ સંપૂર્ણપણે નિયમો મુજબ જ બનાવાયું હતું અને તેનાથી તમામ વારસદારોના હિતોનું રક્ષણ થાય છે. તેમણે રાણી કપૂરને ટ્રસ્ટના ટ્રસ્ટી પદ પરથી હટાવવાની નોટિસ પણ આપી હતી અને આક્ષેપ કર્યો હતો કે ટ્રસ્ટના કામકાજમાં બિનજરૂરી દખલગીરી કરવામાં આવી રહી છે, જેનાથી વારસદારોના અધિકારો પર અસર પડી શકે છે.

સુપ્રીમ કોર્ટે પૂર્વ મુખ્ય ન્યાયાધીશને સોંપી જવાબદારી

મામલો વધતા આ વિવાદ આખરે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે બંને પક્ષો વચ્ચે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે મધ્યસ્થતાનો માર્ગ પસંદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડને આ કેસમાં મધ્યસ્થ તરીકે નીમ્યા છે, જેઓ બંને પક્ષોને સાથે બેસાડીને આ વિવાદનો કાયમી અને સર્વસંમત ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.