Business

જેપી મોર્ગને પણ ભારતીય ઈક્વિટીને ઓવરવેઈટમાંથી ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ કરી

By GS Team
25 Apr 20261 min read
જેપી મોર્ગને પણ ભારતીય ઈક્વિટીને  ઓવરવેઈટમાંથી ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ કરી

મુંબઈ : એચએસબીસી બાદ હવે અન્ય બ્રોકરેજ પેઢી જેપી મોર્ગને પણ ભારતીય ઈક્વિટીસને  ઓવરવેઈટમાંથી ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ કરી છે. બીજી બાજુ તાઈવાનની ઈક્વિટીસને જેપી મોર્ગેને અપગ્રેડ કરી ઓવરવેઈટ કરી છે.

ઊભરતી બજારોમાં ભારતના પ્રમાણમાં ઊંચા વેલ્યુએશન્સ, અર્નિંગ્સ સામે જોખમ તથા નવી પેઢીની ટેકનોલોજીમાં મર્યાદિત ઈન્વેસ્ટમેન્ટ જેવા પરિબળોને ધ્યાનમાં રાખી આ ડાઉનગ્રેડ આવી પડયું હોવાનું મોર્ગને તેના રિપોર્ટમાં નોંધ્યું છે. 

નાણાં વર્ષ ૨૦૨૭ માટે અર્નિગ્સ વૃદ્ધિ અંદાજ પણ બે ટકા ઘટાડી ૧૦ ટકા કરાયો છે. ભારતમાંથી વિદેશી રોકાણકારોના ૩૭ અબજ ડોલરના આઉટફલોની અસર ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોના જંગી ઈન્ફલોસને કારણે હળવી થઈ ગઈ છે. 

અમેરિકા, ચીન, તાઈવાન તથા કોરિઆની સરખામણીએ ભારતની લાર્જકેપ કંપનીઓ એઆઈ, ડેટા સેન્ટર તથા સેમીકન્ડકટરમાં ઓછું રોકાણ ધરાવે છે. બીજી બાજુ વર્તમાન વર્ષમાં ચોમાસુ નબળુ રહેવાની ધારણાંએ પણ ભારતના આઉટલુક સામે જોખમ વધાર્યું છે. 

ભારતમાં જ્યાંસુધી અર્નિંગ્સ વૃદ્ધિ નજરે નહીં પડે ત્યાંસુધી અમે અન્ય ઊભરતી બજારોમાં તક નિહાળી રહ્યા છીએ એમ પણ મોર્ગેન દ્વારા તેના રિપોર્ટમાં જણાવાયું છે. 

આ અગાઉ ગુરુવારે એચએસબીસીએ ભારતીય ઈક્વિટીસને ન્યુટ્રલમાંથી ડાઉનગ્રેડ કરી અન્ડરવેઈટ કરી હતી.