Business

Gold Monetization 2.0: હવે લોકરમાં પડેલું સોનું કમાઈ આપશે વ્યાજ! જાણો શું છે સરકારની તૈયારી

By GS Team
14 Jul 20263 mins read
TukuTouch Logo
ભારત સરકાર 2026માં 'ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ 2.0' લાવવા ગંભીરતાથી વિચારી રહી છે. આ યોજના અંતર્ગત, ભારતીય પરિવારો પાસે પડેલું આશરે 200 ટન સોનું સત્તાવાર બજારમાં લાવવાનો લક્ષ્યાંક છે. આનાથી સોનાની આયાત પરની નિર્ભરતા ઘટશે અને વિદેશી હૂંડિયામણ બચશે. ગ્રાહકો જ્વેલર્સ દ્વારા સોનું જમા કરાવી ગોલ્ડ યુનિટ્સ મેળવી શકશે, જેથી આર્થિક ફાયદો થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Gold Monetization 2.0: હવે લોકરમાં પડેલું સોનું કમાઈ આપશે વ્યાજ! જાણો શું છે સરકારની તૈયારી

Gold Monetisation Scheme 2.0 Launch India 2026 : ભારતીય પરિવારોના લોકર્સ અને તિજોરીઓમાં વર્ષોથી બંધ પડેલા સોનાનો ઉપયોગ હવે દેશના અર્થતંત્રને એક નવી ગતિ આપવા માટે કરવામાં આવી શકે છે. ઘરોમાં વણવપરાયેલા પડેલા આ સોનાને ફરીથી માર્કેટમાં લાવવા માટે કેન્દ્ર સરકાર એક અત્યંત મહત્વકાંક્ષી પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. સરાફા એસોસિએશનો દ્વારા તૈયાર કરાયેલા આ ખાસ બ્લુપ્રિન્ટને ‘ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ 2.0’ (Gold Monetisation Scheme 2.0) નામ આપવામાં આવ્યું છે. જો આ યોજના અમલી બનશે તો દેશના ગોલ્ડ માર્કેટનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ જશે અને સામાન્ય ગ્રાહકોને પણ તેનો મોટો ફાયદો થશે.

શું છે આ નવી યોજનાનો મુખ્ય ટાર્ગેટ?

સરાફા સંગઠનો દ્વારા સરકારને સોંપવામાં આવેલા પ્રસ્તાવ મુજબ, આ યોજનાના પ્રથમ તબક્કામાં દેશના ઘરોમાંથી આશરે 200 ટન સોનું સત્તાવાર માર્કેટ અને બેંકિંગ સિસ્ટમમાં પાછું લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જો આ સ્થાનિક સોનું સિસ્ટમમાં આવી જશે, તો ભારતની વિદેશથી થતી સોનાની આયાત (Gold Import) પરની નિર્ભરતા ઘણી ઓછી થઈ જશે. જેના કારણે દેશનું અબજો ડોલરનું વિદેશી હૂંડિયામણ બચાવી શકાશે, જે આર્થિક દ્રષ્ટિએ મોટો માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.

જૂની સ્કીમ કરતાં કેટલી અલગ અને સરળ હશે?

આ અગાઉ પણ સરકાર ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ લાવી હતી, પરંતુ લોકો સોનું લઈને સીધા બેંકમાં જતાં અચકાતા હતા અને પ્રક્રિયા જટિલ હતી. આ વખતે આ ખામીને દૂર કરીને પ્રક્રિયાને એકદમ સરળ અને વ્યવહારુ બનાવવાનો પ્રસ્તાવ છે. નવા નિયમ મુજબ, ગ્રાહકે પોતાના જૂના દાગીના લઈને બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેઓ પોતાના નજીકના રજિસ્ટર્ડ સરાફા વેપારી (Jewellers) પાસે જઈ શકશે. જ્વેલર આ સોનાને ઓગળાવીને તેની શુદ્ધતા (Purity) નક્કી કરશે અને તેને બેંકમાં જમા કરાવશે.

લોકો મેળવી શકશે સોનાની કિંમત

ત્યારબાદ, જમા કરાયેલા સોનાના મૂલ્ય જેટલી જ ‘ગોલ્ડ યુનિટ્સ’ (Gold Units) ગ્રાહકના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. આજની નવી પેઢીને પરંપરાગત ભારે દાગીનાને બદલે લેટેસ્ટ અને ટ્રેન્ડી લાઇટવેઇટ જ્વેલરી વધુ પસંદ આવે છે. આ સ્કીમ દ્વારા લોકો ઘરમાં રાખેલા જૂના ઘરેણાંની સાચી કિંમત મેળવી શકશે અને સહેલાઈથી નવી ડિઝાઇન ખરીદી શકશે. બીજી તરફ વેપારીઓને પણ ઉત્પાદન માટે સસ્તો કાચો માલ મળી રહેશે.

ઇનકમ ટેક્સના નિયમો અને મર્યાદા

ઘણા લોકો ટેક્સ અને ઇનકમ ટેક્સ (Income Tax) ની નોટિસના ડરથી પોતાનું સોનું બહાર લાવતા ડરે છે, પરંતુ આ યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા રાખવાની ખાતરી અપાઈ રહી છે. પ્રવર્તમાન નિયમો અનુસાર, ઘરમાં ચોક્કસ મર્યાદામાં સોનું રાખવા પર કોઈ પૂછપરછ થતી નથી. નિયમ મુજબ પરિણીત મહિલાઓ પોતાના ધરમાં 500 ગ્રામ સુધી, અપરિણીત યુવતીઓ 250 ગ્રામ સુધી અને પુરુષો 100 ગ્રામ સુધી સોનું રાખી શકે છે. જોકે, આ અંગેનો અંતિમ નિર્ણય સરકારી નીતિઓ અને કાયદાકીય પરિસ્થિતિઓ પર આધારિત રહેશે.

સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત નહી

જો કે સરકાર તરફથી હજુ સુધી આ સ્કીમ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જ્વેલરી માર્કેટમાં આ પ્રસ્તાવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં થયેલા ફેરફારો બાદ હવે આ યોજના દેશના વિકાસમાં અને આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું કદમ સાબિત થઈ શકે છે.