જુલાઈમાં પણ એફઆઈઆઈની ભારતીય ઈક્વિટીમાં નેટ લેવાલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કન્ઝયૂમર સર્વિસીઝ, મેટલ્સ તથા માઈનિંગ અને આરોગ્યસંભાળ ક્ષેત્રમાં આકર્ષણ
મુંબઈ : જૂનના પાછલા પખવાડિયા બાદ જુલાઈમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની ભારતીય ઈક્વિટીસમાં નેટ ખરીદી જોવા મળી છે. ભારતીય ઈક્વિટીસમાં એફઆઈઆઈ મુખ્યત્વે કન્ઝયૂમર સર્વિસીઝ, મેટલ્સ તથા માઈનિંગ અને આરોગ્યસંભાળ ક્ષેત્રમાં નાણાં ઠાલવી રહ્યાનું સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા પરથી જણાય છે.
દેશના આર્થિક નિર્દશાંકોમાં મજબૂતાઈ ઉપરાંત જૂન ત્રિમાસિક ગાળાના કંપનીઓના પરિણામો પ્રોત્સાહક રહેતા જુલાઈમાં એફઆઈઆઈની ખરીદી જળવાઈ રહી હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
જુલાઈ ૨૧ સુધીમાં ભારતીય ઈક્વિટીસમાં એફઆઈઆઈનો નેટ ઈન્ફલોસ રૂપિયા ૧૫૩૯૦ કરોડ રહ્યો હતો જે જૂનના પાછલા પખવાડિયામાં રૂપિયા ૧૪૦૨૦ કરોડ જોવા મળ્યો હતો. જોકે જૂનમાં એકંદરે નેટ વેચવાલ રહ્યા હતા. અમેરિકા તથા ઈરાન વચ્ચે ફરી તણાવ ઊભો થતા જુલાઈના કેટલાક દિવસોમાં વિદેશી રોકાણકારોની વેચવાલી પણ જોવા મળી છે. આ ઉપરાંત ટ્રમ્પે વિવિધ દેશો પર નવેસરથી ટેરિફ લાગુ કરવાનું શરૂ કરતા શેરબજારમાં રોકાણકારોનું માનસ ખરડાવાની શકયતા નકારાતી નથી.
ઓટોમોબાઈલ, ઓટો કમ્પોનેન્ટસ તથા કેપિટલ ગુડસ જેવા ક્ષેત્રોમાં એફઆઈઆઈનું ઓફ્ફલોડિંગ જોવાઈ રહ્યું છે. ભારતીય ઈક્વિટીસમાં દરેક ક્ષેત્રમાં રોકાણ કરવાને બદલે વિદેશી રોકાણકારો નિશ્ચિત ક્ષેત્રને પસંદ કરી રહ્યા છે. ભારતના સ્ટોકસના વેલ્યુએશન પણ હાલમાં આકર્ષક સ્તરે છે.
વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતનું અર્થતંત્ર વૈશ્વિક પડકારો વચ્ચે મજબૂત જોવા મળી રહ્યું છે, જેને કારણે પણ વિદેશી રોકાણકારો ઊભરતા દેશોમાં ભારતને પ્રાધાન્ય આપી રહ્યા છે.
નાણાં વર્ષ ૨૦૨૬માં વિદેશી રોકાણકારોની ભારતીય ઈક્વિટિસમાં ૨૦ અબજ ડોલરની વેચવાલી આવી હતી.
રિઝર્વ બેન્ક તથા ભારત સરકાર દેશમાં વિદેશી મૂડી પ્રવાહ આકર્ષવા વિવિધ પગલાં લઈ રહી છે તેને જોતા પણ ભારતના અર્થતંત્ર સંદર્ભમાં એફઆઈઆઈના વિશ્વાસમાં વધારો થયો છે.









