Business

અનિશ્ચિતતા વચ્ચે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રખાયા

By GS Team
20 Mar 20261 min read
અનિશ્ચિતતા વચ્ચે ફેડરલ રિઝર્વ દ્વારા  વ્યાજ દર યથાવત રખાયા

મુંબઈ : ઈરાન યુદ્ધને કારણે વધી રહેલી અનિશ્ચિતતા તથા લેબર માર્કેટમાં નબળાઈને ધ્યાનમાં રાખી અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા બુધવારે વ્યાજ દર ૩.૫૦ ટકાથી ૩.૭૫  ટકાની રેન્જમાં  યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ અગાઉ જાન્યુઆરીની બેઠકમાં પણ વ્યાજ દર યથાવત રખાયા હતા. જો કે તે પહેલા સતત ત્રણ વખત વ્યાજ દરમાં ૨૫ બેઝિસ પોઈન્ટ ઘટાડો કરાયો હતો. 

લેબર માર્કેટ મંદ પડી રહી છે અને ફુગાવો પણ ફેડરલના બે ટકાના ટાર્ગેટ કરતા ઊંચો પ્રવર્તી રહ્યો છે એટલું જ નહીં ઈરાન યુદ્ધે પણ સ્થિતિ વણસાવી દીધી હોવાથી વ્યાજ દરમાં કોઈ ફેરબદલ કરાયો નથી. 

બે દિવસ ચાલેલી બેઠકના અંતે ફેડરલ ઓપન માર્કેટ કમિટિ (એફઓએમસી)ના ૧૨માંથી ૧૧ સભ્યોએ વ્યાજ દર યથાવત રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે એક સભ્યએ દરમાં પા ટકા ઘટાડો કરવાની તરફેણ કરી હતી. 

રોજગાર વૃદ્ધિના નીચા સ્તર અને ઊંચા ફુગાવા સાથે અર્થતંત્ર મજબૂત ગતિએ વધી રહ્યું હોવાનં૨ આર્થિક નિર્દેશાંકો સૂચવી રહ્યા છે. આર્થિક આઉટલુક સંદર્ભમાં અનિશ્ચિતતા ઊંચી રહી છે અને મધ્ય પૂર્વના ઘટનાક્રમોની અમેરિકાના અર્થતંત્ર પર કેવી અસર પડશે તે પણ કહી શકાય એમ નથી. 

બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરો પોવેલે જણાવ્યું હતું કે, કર્મચારીઓની ભરતીમાં મંદ ગતિ કર્મચારીઓ માટેની માગ ઓછી હોવાનું સૂચવે છે અને ટેરિફને કારણે માલસામાનની કિંમતો ઊંચી પ્રવર્તી રહી છે.