Business

ITR ભર્યા બાદ રિફંડની જગ્યાએ નોટિસ આવે તો ગભરાશો નહીં, બસ આટલું કરજો!

By GS Team
6 Aug 20263 mins read
TukuTouch Logo
ઇન્કમટેક્સ રિફંડ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોય તો ચેતી જજો. ટેક્સપેયર્સને રિફંડ રોકવા અને નોટિસ આવવાના ઘણા કારણો હોઈ શકે છે. ITRમાં દર્શાવેલી આવક અને આવકવેરા વિભાગ પાસે ઉપલબ્ધ માહિતી વચ્ચે મેળ ન ખાવાથી નોટિસ આવી શકે છે. TDSમાં તફાવત, વધુ ડિડક્શન ક્લેમ કે મોટી રકમનું ટ્રાન્ઝેક્શન પણ કારણભૂત છે. CA પાસેથી સલાહ લેવી હિતાવહ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ITR ભર્યા બાદ રિફંડની જગ્યાએ નોટિસ આવે તો ગભરાશો નહીં, બસ આટલું કરજો!

Refund Notice: ઇન્કમટેક્સ રિફંડ ભારતમાં ટેક્સપેયર્સ માટે એક સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે તમારા દ્વારા ચૂકવવામાં આવેલો ઍડ્વાન્સ ટેક્સ, સ્ત્રોત પર ટેક્સ કપાત (ટીડીએસ) અથવા અન્ય ટેક્સ ચૂકવણી તમારી અંતિમ ટેક્સ લાયબિલિટીઝ કરતાં વધી જાય છે, ત્યારે તમે રિફંડ માટે પાત્ર બનો છો. આ વધારાની ચૂકવણી સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે તમારી ટેક્સ ડિડક્શન અને રિબેટ્સ તમારી કુલ ટેક્સ લાયબિલિટીઝ કરતાં વધી જાય છે.

ઇન્કમટેક્સ વિભાગ રિફંડ જાહેર કરતાં પહેલાં તમારા રિટર્નની ઝીણવટપૂર્વક તપાસ કરે છે. આ તપાસ ફોર્મ 26AS, વાર્ષિક સૂચના સ્ટેટમેન્ટ (AIS), TIS અને થર્ડ પાર્ટી સ્રોતો પાસેથી પ્રાપ્ત ડેટાના આધારે કરવામાં આવે છે. જો આ તપાસમાં કોઈ વિસંગતતા કે અસામાન્ય લેવડદેવડ સામે આવે છે, તો તમારું રિફંડ રોકી દેવામાં આવે છે અને તમને નોટિસ મોકલવામાં આવી શકે છે. જો તમારી સાથે આવું થયું હોય, તો ગભરાવાને બદલે CA પાસેથી સમજો કે હવે શું કરવું.

દરેક નોટિસનો અર્થ તમે 'ચોર' નથી

સીએ સંતોષ મિશ્રાએ આ અંગે ટેક્સપેયર્સને જણાવ્યું કે, 'એ સમજવું મહત્ત્વપૂર્ણ છે કે દરેક નોટિસનો અર્થ એ નથી કે તમે કંઈક ખોટું કર્યું છે. ઘણી વખત આ સિસ્ટમ-જનરેટેડ નોટિસ હોય છે, જે સ્પષ્ટતા માગે છે અથવા પ્રોસેસિંગની ભૂલોને સુધારવા માટે મોકલવામાં આવે છે. આ નોટિસોના સામાન્ય કારણોને સમજીને તમે સમયસર યોગ્ય જવાબ આપી શકો છો અને બિનજરૂરી વિલંબ કે દંડથી બચી શકો છો.'

વધુ ડિડક્શન ક્લેમ નોટિસનું કારણ બની શકે છે

સીએ અજય બગડીયાનું કહેવું છે કે, 'ટેક્સપેયર સેક્શન 80C, 80D અને અન્ય પાત્ર જોગવાઈઓ હેઠળ કપાતનો દાવો કરે છે. વધારી-ચઢાવીને કરવામાં આવેલા દાવાઓ અથવા દસ્તાવેજી પુરાવા વગરના દાવાઓ વિભાગની નજરમાં આવી શકે છે. જો કપાત વ્યક્તિની આવક અથવા નાણાકીય સ્થિતિની સરખામણીએ વધુ પડતી જણાશે, તો તેની વધુ ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે છે.'

નોટિસ આવવાનું સૌથી સામાન્ય કારણ શું છે

સીએ અભિનંદન પાંડેયના જણાવ્યા પ્રમાણે નોટિસ આવવાનું સૌથી સામાન્ય કારણ તમારા ITRમાં દર્શાવેલી આવક અને આવકવેરા વિભાગ પાસે ઉપલબ્ધ માહિતી વચ્ચે મેળ ન ખાવાનું છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર (CPC) તમારા ITRમાં રિપોર્ટ કરાયેલી ઇન્કમ, TDS, TCS, વ્યાજ, ડિવિડન્ડ, કેપિટલ ગેઇન અને અન્ય વિગતોની તુલના ફોર્મ 26AS, AIS અને TISમાં ઉપલબ્ધ ડેટા સાથે કરે છે. જો તેમાં કોઈ તફાવત જોવા મળે છે, જેમ કે અણનોંધાયેલો પગાર, વ્યાજની આવક, કેપિટલ ગેઇન અથવા આવકના અન્ય સ્રોત, તો ટેક્સ નોટિસ ટ્રિગર થઈ શકે છે.

TDSમાં ડિફરન્સ

જ્યારે તમે ટેક્સ રિફંડનો દાવો કરો છો, ત્યારે તમારું TDS સ્ટેટમેન્ટ પૂરેપૂરું મેળ ખાવું જોઈએ, જે તમારા એમ્પ્લોયર (નિયોક્તા), બૅંક અથવા કપાતકર્તા દ્વારા સરકાર પાસે જમા કરાવવામાં આવ્યું હોય. જો કપાતકર્તા પોતાનું TDS રિટર્ન મોડું ફાઇલ કરે અથવા ખોટો પાન નંબર દાખલ કરે, તો ઇન્કમટેક્સ પોર્ટલ તમારા ટેક્સ ક્રેડિટનું વેરિફિકેશન નથી કરી શકતું.


અનધિકૃત TDS ક્રેડિટનો દાવો કરવો લગભગ હંમેશા કલમ 143(1) હેઠળ એડજસ્ટમેન્ટની નોટિસ આપે છે. જો રિટર્નમાં દાવો કરવામાં આવેલ TDS ટેક્સ વિભાગના રૅકોર્ડ સાથે મેળ ન ખાય, તો રિફંડની રકમ ઘટાડી શકાય છે અથવા રોકી શકાય છે, અને સ્પષ્ટતા માગતી નોટિસ જારી કરી શકાય છે.

મોટી રકમનું ટ્રાન્જેક્શન

ઇન્કમટેક્સ વિભાગને બૅંકો, નાણાકીય સંસ્થાઓ અને અન્ય રિપોર્ટિંગ સંસ્થાઓ પાસેથી અનેક મોટા અમાઉન્ટ વાળા ટ્રાન્ઝેક્શનની જાણકારી મળે છે. જેમાં મોટી રોકડ જમા, મોંઘી મિલકતની ખરીદી, મોટા રોકાણો અથવા ક્રેડિટ કાર્ડના મોટા પેમેન્ટ્સ સામેલ હોઈ શકે છે. જો આવા ટ્રાન્જેક્શનને તમારા ITRમાં દર્શાવેલી આવક દ્વારા યોગ્ય રીતે સ્પષ્ટ કરવામાં આવ્યા ન હોય, તો વિભાગ સ્પષ્ટતા માગી શકે છે.

છેલ્લા વર્ષોથી પેન્ડિંગ ટેક્સ ડિમાન્ડ

જો તમે ચાલુ આકારણી વર્ષ(Current Assessment Year) માટે રિફંડ પાત્ર છો, પરંતુ અગાઉના નાણાકીય વર્ષોની કોઈ બાકી ટેક્સ લાયબિલિટીઝ કે ઓપન ડિમાન્ડ છે, તો તમને કલમ 245 હેઠળ નોટિસ મળશે. ટેક્સ વિભાગ સામાન્ય રીતે કોઈ પણ એડજસ્ટમેન્ટ કરતાં પહેલા એક સૂચના જારી કરે છે, જેથી કરદાતાને પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળે.


તેઓ સૂચિત કાર્યવાહી સાથે સહમત થઈ શકે છે અથવા સંબંધિત દસ્તાવેજો રજૂ કરીને તેનો વિરોધ કરી શકે છે, જેમ કે અગાઉની ડિમાન્ડ પહેલાથી જ ચૂકવાઈ ગઈ છે કે ખોટી છે તેવા પુરાવા આપીને. જો કોઈ જવાબ નહીં મળે, તો એડજસ્ટમેન્ટ ડિફોલ્ટરૂપે પ્રોસેસ કરી શકાય છે.