Business

૧૫ એપ્રિલના પખવાડિયામાં ધિરાણમાં 14 ટકા સામે થાપણમાં 12 ટકા વધારો

By GS Team
2 May 20262 mins read
૧૫ એપ્રિલના પખવાડિયામાં ધિરાણમાં 14 ટકા સામે થાપણમાં 12 ટકા વધારો

મુંબઈ : ૧૫ એપ્રિલના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્ક ધિરાણ વૃદ્ધિ ધીમી પડી ૧૫ ટકાની અંદર રહી હતી. ૩૧મી માર્ચના પખવાડિયામાં ૧૫.૯૬ ટકાની સામે ૧૫ એપ્રિલના પખવાડિયામાં બેન્ક ધિરાણ વૃદ્ધિ ધીમી પડીને ૧૪.૮૮ ટકા રહી હતી એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેટા જણાવે છે. બેન્કિંગ વ્યવસ્થામાં થાપણની સરખામણીએ ધિરાણ વૃદ્ધિ નોંધપાત્ર ઊંચી રહ્યા કરે છે. 

૩૧મી માર્ચના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્ક ધિરાણનો આંક રૂપિયા ૨૧૮ લાખ કરોડ રહ્યો હતો જે ૧૫ એપ્રિલના અંતે ઘટી રૂપિયા ૨૧૪ લાખ કરોડ રહ્યો હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે. ગયા વર્ષના ૧૮ એપ્રિલના સમાપ્ત થયેલા પખવાડિયામાં કુલ બેન્ક ધિરાણ આંક રૂપિયા ૧૮૬  લાખ કરોડ રહ્યો હતો.  

ધિરાણની સરખામણીએ થાપણ વૃદ્ધિ નોંધપાત્ર નીચી રહી હોવાનું કહી શકાય એમ છે. ૧૫ એપ્રિલના પખવાડિયામાં થાપણ વૃદ્ધિ ૧૨.૧૨ ટકા રહી હતી.

૧૫ એપ્રિલના પખવાડિયાના અંતે બેન્કિંગ વ્યવસ્થામાં થાપણ આંક રૂપિયા ૨૬૧.૮૮ લાખ કરોડ રહ્યો હતો જે ગયા વર્ષના ૧૮ એપ્રિલના પખવાડિયામાં રૂપિયા ૨૩૩.૫૬ લાખ કરોડ રહ્યો હતો.  

૩૧મી માર્ચના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્ક ધિરાણ વૃદ્ધિ છેલ્લા બે નાણાં વર્ષમાં સૌથી ઝડપી વૃદ્ધિ રહી હતી. નાણાં વર્ષની સમાપ્તિ પહેલા બેન્કો પોતાના ધિરાણ ટાર્ગટને પૂરા કરવા આક્રમક પ્રયત્નો કરતી હોવાથી ૩૧મી માર્ચના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ ઊંચી જોવા મળી હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું.છેલ્લા સતત સાત મહિનાથી દર પખવાડિયે બેન્ક ધિરાણ વૃદ્ધિ સતત દ્વીઅંકમાં રહી છે એમ પ્રાપ્ત આંકડા પર નજર નાખતા જણાય છે. 

ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડાને પરિણામે દેશમાં માગ ખાસ કરીને વાહનો તથા રહેઠાણ માગ વધવા સાથે ધિરાણ ઉપાડમાં પણ વધારો થયો છે. રિઝર્વ બેન્ક દ્વારા ધિરાણ દર પણ સતત નીચા રખાવાને કારણે નીચા દરે લોન ઉપાડમાં વૃદ્ધિ જળવાઈ રહી છે.