Business

ઓઇલનો ભંડાર ધરાવતું રશિયા ભારત પાસેથી કેમ ખરીદશે પેટ્રોલ? ગુજરાતથી નવો 'સિક્રેટ રૂટ'

By GS Team
16 Jul 20263 mins read
TukuTouch Logo
યુક્રેનના ડ્રોન હુમલાથી રશિયાની રિફાઇનરીઓને મોટું નુકસાન થતાં રશિયા ભારત પાસેથી પેટ્રોલ-ડીઝલ ખરીદવા મજબૂર બન્યું છે. જૂનમાં 52% ક્રૂડ ઓઇલ સપ્લાય કરનાર રશિયા હવે ભારતનો ગ્રાહક બન્યું. ભારતીય રિફાઇનર્સ માટે આ મોટી તક છે, જ્યાં 64,000 મેટ્રિક ટન પેટ્રોલની ખરીદી થઈ છે. ગુજરાતની નાયારા એનર્જી રિફાઇનરી દ્વારા આ વેપાર થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓઇલનો ભંડાર ધરાવતું રશિયા ભારત પાસેથી કેમ ખરીદશે પેટ્રોલ? ગુજરાતથી નવો 'સિક્રેટ રૂટ'
IMAGE - IANS

India Russia oil trade: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક એનર્જી માર્કેટમાં એક મોટો અને અણધાર્યો ફેરફાર જોવા મળ્યો છે. અત્યાર સુધી ભારતને મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ સપ્લાય કરનાર રશિયા, હવે ભારત પાસેથી જ રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ (પેટ્રોલ-ડીઝલ) ખરીદવા મજબૂર બન્યું છે. ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં ભારતના કુલ ક્રૂડ ઓઇલની આયાતમાં 52% હિસ્સો એકલા રશિયાનો હતો, પરંતુ હવે તે પોતે ભારતનો નવો ગ્રાહક બની ગયું છે.

રશિયા કેમ ભારત પાસેથી ઇંધણ ખરીદી રહ્યું છે?

આ અણધાર્યા બદલાવ પાછળનું મુખ્ય કારણ યુક્રેનની સૈન્ય વ્યૂહનીતિ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી યુક્રેનના ડ્રોન સતત રશિયાના ઓઇલ રિફાઇનરી પ્લાન્ટ્સ પર હુમલા કરી રહ્યા છે. આ હુમલાઓમાં રશિયાની રિફાઇનિંગ ક્ષમતાને મોટું નુકસાન પહોંચ્યું છે, જેના કારણે રશિયામાં સ્થાનિક સ્તરે ઇંધણની અછત ઊભી થઈ છે અને મોસ્કોને વિદેશથી ઇંધણ ખરીદવાની ફરજ પડી છે.

શિપિંગ ડેટા એનાલિટિક્સ ફર્મના જણાવ્યા અનુસાર, રશિયાનું ગેસોલિન ઉત્પાદન ઘટીને પ્રતિદિન 3,08,000 બેરલ થઈ ગયું છે, જે છેલ્લા 21 વર્ષમાં તેનું સૌથી નીચું સ્તર છે. તજજ્ઞોના મતે, સતત થતાં હુમલા અને રિપેરિંગના કામના કારણે આગામી સમયમાં પણ આ સ્થિતિમાં મોટો સુધારો થવાની આશા ઓછી છે.

ભારતીય રિફાઇનર્સ માટે કમાણીની મોટી તક

રશિયાએ ભારત પાસેથી પ્રારંભિક તબક્કે 64,000 મેટ્રિક ટન પેટ્રોલની ખરીદી કરી છે અને આ તો માત્ર શરૂઆત છે. આ ખાધને પૂરી કરવા માટે મોસ્કો ભારત અને અન્ય સપ્લાયર્સ પાસેથી દર મહિને 4,000,000 ટન જેટલું ઇંધણ આયાત કરવાની યોજના બનાવી રહ્યું છે. ભારતીય ઓઇલ રિફાઇનર્સ માટે આ સમયગાળો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. વધારે રિફાઇનરી ક્ષમતા, મજબૂત ક્રૂડ આયાત અને તમામ પ્રોડક્ટ્સ પર મળી રહેલા સારા રિફાઇનરી માર્જિનને કારણે જુલાઈ 2026માં ભારતની રિફાઇન્ડ પ્રોડક્ટ્સની નિકાસ ચાલુ વર્ષના સર્વોચ્ચ માસિક સ્તરે પહોંચવાના સંકેત છે.

વૈશ્વિક બજારમાં વધતું જોખમ અને ગુજરાત કનેક્શન

આ યુદ્ધે ઊર્જા વેપારના સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. ગુજરાતમાં આવેલી 'નાયારા એનર્જી'ની રિફાઇનરીમાં રશિયાની સરકારી કંપની રોસનેફ્ટ 49% હિસ્સો ધરાવે છે. રશિયાનું ક્રૂડ ઓઇલ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર નજીક આવેલા વાડીનાર પૉર્ટ પર આવે છે, જે અહીં રિફાઇન થયા બાદ દરિયાઈ માર્ગે ફરી રશિયાના વ્હાઇટ સી પર આવેલા વિટિનો પૉર્ટ પર મોકલવામાં આવી રહ્યું છે.

બીજી તરફ, વૈશ્વિક ઓઇલ માર્કેટમાં તણાવ સતત વધી રહ્યો છે. રશિયાની રિફાઇનરીઓ પર હુમલા ઉપરાંત હોર્મુઝ સ્ટ્રેટ આંશિક રીતે બંધ થવી અને રાતા સમુદ્રના રૂટ પર હુથી બળવાખોરોનો વધતો ખતરો આંતરરાષ્ટ્રીય બજારને વધુ સંવેદનશીલ બનાવી રહ્યા છે. યુક્રેને અત્યાર સુધી રોસનેફ્ટની રાયઝાન અને લુકઓઇલની નોર્સી જેવી રશિયાની 11 મોટી રિફાઇનરીઓને ટાર્ગેટ કરી છે, જેના કારણે ત્યાં રિપેરિંગમાં લાંબો સમય લાગે તેમ છે.

ભારત સામે મોંઘા ક્રૂડ ઓઇલનો પડકાર

ભારત માટે અત્યારે સપ્લાય કરતાં કિંમત મોટી સમસ્યા છે. મે અને જૂન મહિનામાં ભારતે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ ક્રૂડ ઓઇલની આયાત પાછળ બમણાથી વધુ ખર્ચ કર્યો છે, જેના કારણે દેશની ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit) વધી રહી છે અને સરકારી તિજોરી પર દબાણ આવ્યું છે.

જોકે, આ મુશ્કેલ સમયમાં પણ રશિયન ક્રૂડ ઓઇલ ભારત માટે એનર્જી સિક્યોરિટીનું સૌથી મજબૂત સાધન સાબિત થઈ રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકન પ્રમુખ દ્વારા લાદવામાં આવનારા સંભવિત ટૅરિફ કે પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઇંધણ ખરીદવાનું ચાલુ રાખશે, કારણ કે જો અમેરિકા રશિયા અને ઈરાન પર એકસાથે વધુ કડક પ્રતિબંધો લગાવશે તો વૈશ્વિક બજારમાં ઓઇલના ભાવ આસમાને પહોંચશે અને તેની સીધી અસર અમેરિકા સહિત દુનિયાભરના ગ્રાહકો પર પડશે.