શહેરમાં ટ્રાફિક નિયમન માટે કેટલાંક માર્ગો એકમાર્ગીય જાહેર કરાયાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સંબંધિત માર્ગો પર વાહન વ્યવહાર સરળતાથી થઈ શકે તે હેતુથી જાહેરનામુ અમલી
ભાવનગર - ભાવનગર શહેરમાં આવતીકાલ તા.૨૬ ના રોજ ઈદ-એ-મિલાદના તહેવારની ઉજવણી અંતર્ગત ચાવડીગેટ પાસે આવેલી મહંમદશા બાપુની વાડીએથી નિકળનાર ઝુલુસને અનુલક્ષીને ટ્રાફિક નિયમન માટે કેટલાક માર્ગો એકમાર્ગીય જાહેર કરાયા છે.
શહેરના ચાવડીગેટથી ઝુલુસ નિકળીને અલકા ગેટ, મતવા ચોક, સંઘેડીયા બજાર, શેલારશા ચોક, આંબા ચોક, હેરીસ રોડ, વોરા બજાર, રૃવાપરી ગેટ, બાર્ટન લાયબ્રેરી, હલુરીયા ચોક, હાઇકોર્ટ રોડ, ઘોઘા ગેટ, ગંગાજળીયા તળાવ, વાસણ ઘાટ, દરબારી કોઠાર થઈને શેલારશા પીરની દરગાહ પાસે પુરુ થશે. તેના રૃટ પર વધુ વાહનો જોડાવાની સંભાવનાને ધ્યાને લઈ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ જળવાઈ રહે તથા જાહેર માર્ગો પર વાહન વ્યવહાર સરળતાથી થઈ શકે તે હેતુસર ભાવ.ના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી. ગોવાણીએ મળેલી સત્તાની રૃએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જાહેરનામા મુજબ તા. ૨૬ ના સવારે ૮ થી બપોરે ૩ સુધી ઉપરોકત નિયત માર્ગો એકમાર્ગીય જાહેર કરાયાં છે. આ જાહેરનામાંથી પોલીસ ડીપાર્ટમેન્ટ, મહેસૂલ ખાતું, પી.જી.વી.સી.એલ., ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તથા આવશ્યક સેવા અંગેનાં વાહનોને મુક્તિ અપાઈ છે. જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.




